PM મોદીએ નેધરલેન્ડમાં બંગાળ ચૂંટણીનો કર્યો ઉલ્લેખ

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ શનિવારે નેધરલેન્ડ્સમાં ભારતીય પ્રવાસીઓને સંબોધિત કર્યા હતા. એ દરમિયાન તેમણે કહ્યું હતું કે તેમને અહીં ઘર જેવી લાગણી થાય છે. એટલું જ નહીં, પીએમ મોદીએ ઝાલમૂરીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે શું ઝાલમૂરી નેધરલેન્ડ્સ સુધી પણ પહોંચી ગઈ છે? તેમની આ વાત સાંભળીને ત્યાં હાજર લોકો હસવા લાગ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભારતમાં દર વર્ષે રેકોર્ડતોડ મતદાન થઈ રહ્યું છે. 2024ની લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે 64 કરોડથી વધુ લોકોએ મતદાન કર્યું, જે યુરોપિયન યુનિયનની વસ્તી કરતાં પણ વધુ છે.

 16 મેનો દિવસ ખાસ છે – પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું હતું કે આજે 16 મે છે અને આ દિવસ એક બીજા કારણથી પણ ખૂબ ખાસ છે. આજથી 12 વર્ષ પહેલાં 16 મે 2014એ કંઈક વિશેષ બન્યું હતું. 2014માં આજના જ દિવસે લોકસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાં હતાં. દાયકાઓ પછી ભારતમાં સ્થિર અને પૂર્ણ બહુમતીવાળી સરકાર બનવાની ખાતરી થઈ હતી. એ દિવસથી લઈને આજ સુધી કરોડો ભારતીયોના વિશ્વાસે મને ન તો રોક્યો છે અને ન તો થાકવા દીધો છે.

તેમણ કહ્યું હતું કે નાની ઉંમરથી જ હું દેશભક્તિની ભાવનાથી પ્રેરિત હતો. તમે બધા મારા પરિવાર બની ગયા છો. મેં ‘હું’માંથી ‘અમે’નો માર્ગ પસંદ કર્યો છે. એ પછી તમારી ખુશી મારી ખુશી બની ગઈ અને તમારું કલ્યાણ મારું કર્તવ્ય બની ગયું. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે મને જનતાનો એટલો પ્રેમ મળશે. જ્યારે હું પાછળ વળીને જોઉં છું, ત્યારે મુખ્ય મંત્રી તરીકેનાં 13 વર્ષ અને વડા પ્રધાન તરીકેનાં 12 વર્ષની સેવા યાદ આવે છે.

 ભારત-નેધરલેન્ડ્સ મેચનો પણ કર્યો ઉલ્લેખ

તેમણે કહ્યું હતું કે નેધરલેન્ડ્સમાં ક્રિકેટ ક્ષેત્રે ભારતીય સમુદાયનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ભારતમાં ટી20 વર્લ્ડ કપનું આયોજન થયું હતું, જેમાં નેધરલેન્ડ્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારત વિશ્વ ચેમ્પિયન છે, પરંતુ મેચમાં નેધરલેન્ડ્સે ભારતને આકરી ટક્કર આપી હતી. વડા પ્રધાને કહ્યું હતું કે જેમ ભારત કમળ માટે પ્રસિદ્ધ છે, તેમ નેધરલેન્ડ્સ ટ્યુલિપ માટે જાણીતું છે. ટ્યુલિપ અને કમળ બંને આપણને શીખવે છે કે મૂળ પાણીમાં હોય કે ધરતીમાં, સુંદરતા અને શક્તિ બંને પ્રાપ્ત થઈ શકે છે.