મુર્શિદાબાદ: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં આજે બાબરી મસ્જિદની પ્રતિકૃતિ (રેપ્લિકા)ના નિર્માણનું કામ ઔપચારિક રીતે શરૂ થઈ રહ્યું છે. આ એ જ પ્રોજેક્ટ છે જેના શિલાન્યાસ છઠ્ઠી ડિસેમ્બર 2025એ કરવામાં આવ્યો હતો અને હવે બે મહિના બાદ નિર્માણની શરૂઆત થઈ રહી છે. સોમવારે હુમાયુ કબીરે મસ્જિદની ડિઝાઇન સોશિયલ મિડિયા પર શેર કરી હતી, જેને કારણે મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
ભારે મશીનો તહેનાત
બેલડાંગામાં નિર્માણ શરૂ થવાના એક દિવસ પહેલાં તૈયારીઓ ઝડપી બની હતી. સ્થળ પર ઘણા અર્થ-મૂવર્સ જોવા મળ્યા અને કુરાન પાઠ માટે અલગ જગ્યા તૈયાર કરવામાં આવી. હજારો લોકોની હાજરીમાં નિર્માણ કાર્યની શરૂઆત થશે. આ કાર્યક્રમમાં 1200 મૌલવી કુરાનની તિલાવત કરશે, ત્યાર બાદ સત્તાવાર રીતે કન્સ્ટ્રક્શન શરૂ કરવામાં આવશે.
હુમાયુ કબીરના પગલાથી વધી હલચલ
હુમાયુ કબીર, જે પહેલા તૃણમૂલ કોંગ્રેસમાં હતા અને હવે પોતાની નવી પાર્ટી ‘જનતા ઉન્નયન પાર્ટી’ ચલાવી રહ્યા છે, આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહ્યા છે. આ જાહેરાતને કારણે તેમને તૃણમૂલ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
બાબરી મસ્જિદ ક્યારેય નહીં બને: યોગી આદિત્યનાથ
મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે કહ્યું હતું કે બાબરી મસ્જિદ જેવી રચના ફરી ક્યારેય બનશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે કયામતનો દિવસ ક્યારેય નહીં આવે, એટલે બાબરી મસ્જિદ ક્યારેય બની શકશે નહીં. આ નિવેદનનો જવાબ આપતા કબીરે કહ્યું હતું કે યોગીજી શું કહે છે તે તેમની બાબત છે, પરંતુ જો તેમને નિર્માણ રોકવું હોય તો મુર્શિદાબાદ આવવું પડશે. કબીરે એમ પણ કહ્યું કે તેમણે રામ મંદિરના નિર્માણનો વિરોધ કર્યો નહોતો, તેથી આ પ્રોજેક્ટનો વિરોધ સમજણ બહાર છે.
આ દરમિયાન ઉત્તર પ્રદેશના એક દક્ષિણપંથી ગ્રુપે લોકોને મુર્શિદાબાદ તરફ માર્ચ કાઢવાની અપીલ કરી છે, જેના પગલે સ્થાનિક પ્રશાસને સુરક્ષા વધારી દીધી છે. એ મુદ્દાને લઈને રાજ્ય અને દેશભરમાં રાજકીય ગરમાટો વધ્યો છે.


