રામ જન્મભૂમિને મક્કા, વેટિકન સિટીની જેમ વિક્સાવાશે

નાગપુરઃ વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના પ્રમુખ રવિન્દ્ર નારાયણ સિંહે કહ્યું છે કે અયોધ્યામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને ખ્રિસ્તીઓના આસ્થાસ્થળ (રોમન કેથલિક ચર્ચના મુખ્યાલય) વેટિકન સિટી અને ઈસ્લામના પવિત્ર શહેર મક્કાની જેમ વિકસિત કરવામાં આવશે. નાગપુરમાં સાધુસંતો અને વીએચપીના કાર્યકર્તાઓની એક સભાને સંબોધિત કરતાં રવિન્દ્ર નારાયણ સિંહે એમ પણ કહ્યું કે રામ મંદિર અને રામ જન્મભૂમિ હિન્દુત્વના પ્રતીકના રૂપમાં ઉભરી આવશે.

એક અલગ કાર્યક્રમમાં વીએચપીના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈને કહ્યું હતું કે ભારતને રાજકીય સ્વતંત્રતા 1947માં મળી હતી, પરંતુ ધાર્મિક તથા સાંસ્કૃતિક સ્વતંત્રતા રામ મંદિર આંદોલન દ્વારા જ મળી છે. બિનસાંપ્રદાયિક રાજકારણે દેશનું વિભાજન કરવાનું જ કામ કર્યું છે.