રાજ્યો માટે સીરમે ‘કોવિશીલ્ડ’ રસીની કિંમત ઘટાડી

પુણેઃ દેશમાં કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીની કિંમતના મુદ્દે ઉહાપોહ થયો હોવાથી ‘કોવિશીલ્ડ’ રસીની ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ આજે જાહેરાત કરી છે કે તે રાજ્ય સરકારોને આપવામાં આવનાર આ રસીના પ્રતિ ડોઝની કિંમતમાં રૂ. 100નો ઘટાડો કરે છે. કેન્દ્ર સરકારે હાલમાં જ કોરોના-રસીને લગતી જાહેર કરેલી નવી નીતિ અંતર્ગત સીરમ ઈન્સ્ટિટ્યૂટે રાજ્ય સરકારોને તેની ‘કોવિશીલ્ડ’ રસી પ્રતિ ડોઝ રૂ.400ની કિંમતે આપવાની તૈયારી બતાવી હતી. ખાનગી હોસ્પિટલોને તે આ જ રસી પ્રતિ ડોઝ રૂ.600ની કિંમતે વેચે છે.

સીરમના સીઈઓ અદર પૂનાવાલાએ કહ્યું છે કે કંપની તરફથી સખાવતી શુભચેષ્ટા તરીકે હું આજે અત્યારથી જ અમલમાં આવે એ રીતે રાજ્યો માટે અપાનાર ‘કોવિશીલ્ડ’ રસીના પ્રતિ ડોઝમાં રૂ.100નો ઘટાડો કરું છું અને હવે આ રસી તેમને પ્રતિ ડોઝ રૂ.400ને બદલે રૂ.300ની કિંમતે આપવામાં આવશે. કિંમતમાં આ ઘટાડો કરવાથી રાજ્યોના ભંડોળમાં કરોડો રૂપિયાની બચત થશે અને વધુ લોકોને રસી આપી શકાશે અને એ સાથે જ અનેક લોકોની જિંદગી બચાવી શકાશે.