વાહન ઉદ્યોગ 2025ને રેકોર્ડ વેચાણ સાથે આપશે વિદાય

નવી દિલ્હીઃ વાહન ક્ષેત્ર વર્ષ 2025ને શાનદાર વેચાણ સાથે અલવિદા કરશે. વર્ષની શરૂઆતમાં વેચાણમાં જોવા મળેલી મંદીમાંથી બહાર આવીને 31 ડિસેમ્બર સુધી કુલ વાહન વેચાણ 2.8 કરોડને પાર કરવાની અપેક્ષા છે. રવિવાર સુધી કુલ વાહન વેચાણ 2.79 કરોડ સુધી પહોંચી ગયું હતું. દૈનિક સરેરાશ 77,000થી વધુ વાહનોના વેચાણ સાથે ઉદ્યોગ આ વર્ષે 2.82 કરોડથી વધુ વેચાણ તરફ આગળ વધી રહ્યો છે.  આ નોંધપાત્ર વધારો છે, એમ વાહન પોર્ટલના આંકડા કહે છે.

મહામારી પહેલાં 2018માં 2.54 કરોડ વાહનોનું વેચાણ થયું હતું, જ્યારે તે સ્તર કરતાં વધુ વેચાણ 2024માં જ નોંધાયું હતું. નિષ્ણાતોનું માનવું છે કે આ ઉછાળો માલ અને સેવા કર (GST)માં સુધારા, આવકવેરા સ્લેબમાં ફેરફાર અને નીતિગત વ્યાજદરમાં ચાર વખત કરાયેલી કપાતને કારણે શક્ય બન્યો છે.

વાહન ડીલરોના સંગઠન ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન્સ (FADA)ના ઉપાધ્યક્ષ સાઈ ગિરિધરે જણાવ્યું હતું કે GST સુધારા અમલમાં આવ્યા તે પહેલાં, એટલે કે 22 સપ્ટેમ્બર સુધી ઉદ્યોગ માટે આ વર્ષ મંદીભર્યું રહ્યું હતું, જેમાં વૃદ્ધિ દર એક અંકમાં જ સીમિત હતો.

તેમણે વધુમાં કહ્યું હતું કે પરંતુ GST સુધારા બાદ પરિસ્થિતિ બદલાવા લાગી અને વ્યાજદરમાં કપાતને કારણે ઓછા વ્યાજદરે નાણાં ઉપલબ્ધ બન્યા. આવકવેરા સ્લેબમાં ફેરફારથી મધ્યવર્ગને મોટી રાહત મળી. આ તમામ પગલાંઓના પરિણામે ગ્રાહકો પાસે વધારાનાં નાણાં હાથમાં આવતાં લોકોએ ખરીદી શરૂ કરી. આ રીતે આ વર્ષ વાહન ઉદ્યોગ માટે સૌથી શ્રેષ્ઠ સાબિત થયું.

ઉદ્યોગે ઓક્ટોબરમાં 40 લાખ વાહનોનું રેકોર્ડ વેચાણ નોંધાવ્યું હતું, જ્યારે નવેમ્બરમાં 33 લાખ વાહનોનું વેચાણ થયું હતું. ડિસેમ્બરમાં રવિવાર સુધી 17.9 લાખ વાહનોનું વેચાણ થઈ ચૂક્યું હતું. FADAના આંકડા મુજબ, બે-પૈડા, ત્રણ-પૈડાં, પેસેન્જર તથા વાણિજ્યિક વાહનો સહિત ઉદ્યોગનું કુલ વેચાણ ઓગસ્ટ સુધી 1.05 કરોડ રહ્યું હતું, જે ગયા વર્ષની સમાન અવધિની સરખામણીએ માત્ર 2.9 ટકા વધારે છે. ફેબ્રુઆરી અને માર્ચ જેવા મહિનાઓમાં વેચાણ નકારાત્મક રહ્યું હતું. અહેવાલો અનુસાર GST 2.0 સુધારાના કારણે તમામ શ્રેણીના વાહનોની કિંમતોમાં 5થી 13 ટકાનો ઘટાડો થયો છે.