સરકારે પેન-આધાર લિન્ક અને ITR ફાઇલ કરવાની મુદત વધારી

નવી દિલ્હીઃ સરકારે પ્રત્યક્ષ કરથી સંબંધિત વિવિધ સમયમર્યાદાને ફરી એક વાર વધારવાનો નિર્ણય લીધો છે. કોરોના વાઇરસ રોગચાળાને કારણે વર્તમાન સ્થિતિને જોતાં સરકારે આ પગલું લીધું છે. સરકાર દ્વારા જારી થયેલા નોટિફિકેશન મુજબ સરકાર દ્વારા પેન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવા, 2019-2020 માટે રોકાણની સમયમર્યાદા અને કંપનીઓ માટેનાં ફોર્મ 16 જારી કરવાની સમયમર્યાદા ફરી એક વાર વધારી દેવામાં આવી છે.

કેન્દ્ર સરકારે આધાર કાર્ડ અને પેન કાર્ડથી લિન્ક કરવાની સમયમર્યાદા 31 માર્ચ, 2021 સુધી વધારી દીધી છે.

હવે રોકાણ કરવાની સમયમર્યાદા 31, જુલાઈ, 2020

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં નાણાકીય વર્ષ 2019-20 માટે ટેક્સ ક્લેમ માટે રોકાણ કરવાની સમયમર્યાદા 31, જુલાઈ, 2020 સુધી વધારવામાં આવી છે. આ પહેલાં સરકારે આવકવેરામાં છૂટ પ્રાપ્ત કરવા માટે રોકાણની અંતિમ સમયમર્યાદા 30 જૂન નક્કી કરી હતી.સરકાર નાણાકીય વર્ષ, 2019-20ના આવકવેરા રિટર્ન ભરવાની સમયમર્યાદા પહેલેથી જ 30 નવેમ્બર, 2020 સુધી વધારી ચૂકી છે.

નોટિફિકેશન મુજબ કરદાતા નાણાકીય વર્ષ 2018-19ના વિલંબિત અથવા સંશોધિત રિટર્ન હવે 31 જુલાઈ સુધી 2020 સુધી ભરી શકશે.

રૂ. એક લાખ સુધીની સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ જમા કરવાની સમયમર્યાદાને વધારાઈ

નાના અને મધ્યમ વર્ગના કરદાતાઓને રાહત આપવા માટે સરકારે રૂ. એક લાખ સુધીની સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ જમા કરવાની સમયમર્યાદાને વધારીને 30 નવેમ્બર, 2020 કરી દીધી છે. જોકે એ સ્પષ્ટતા પણ કરી છે કે રૂ. એક લાખથી વધુના કરવેરાની જવાબદારીવાળા કરદાતાઓ માટે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ જમા કરવાની સમયમર્યાદાને નથી વધારવામાં આવી. રૂ. એક લાખથી વધુના સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ નિર્ધારિત તારીખ સુધી જ જમા કરાવવાનું રહેશે અને વિલંબથી ભરનારને વ્યાજ ચૂકવવું પડશે.