ટ્રક-મજૂરોની અછતને પગલે સપ્લાય ચેઇન ખોરવાઈ

 નવી દિલ્હીઃ દેશમાં નાની-મોટી દુકાનોમાંનો અભરાઈઓ અને ખાનાંઓમાં લોકડાઉન પહેલાંનો માલસામાનનો જથ્થો ધીમે-ધીમે ખાલી થઈ ગયો છે. હવે મજૂરો સ્થળાંતર કરી ગયા છે અને પુરવઠા સાંકળ ખોરવાઈ ગઈ છે, ત્યારે  હવે આ દુકાનોમાં માલસામાનની ડિલિવરી કરવી એ એક મોટો પડકાર છે, કેમ કે ઉત્પાદક મથકોએથી રિટેલ સ્ટોર સુધી માલની ડિલિવરી કઈ રીતે કરવી એ એક સવાલ છે. FMCG અગ્રણી ખેલાડી ડાબર ઇન્ડિયા અને હિન્દુસ્તાન લિવર જેવી જથ્થાબંધ ખેલાડીઓની મુખ્ય ચિંતા એ છે કે મેટ્રો કેશ એન્ડ કેરી સ્ટોકકિસ્ટોને અને રિટેઇલરોને તેમનો માલસામાન કેવી રીતે પહોંચતો કરવો?  કેમ કે લોકડાઉનને લીધે મજૂરોની અચાનક અછત સર્જાઈ છે. વેરહાઉસનું સંચાલન કરવા, ટ્રક વિતરકો પાસેથી પુરવઠો લાવવો અને એને રિટેલરોને પહોંચાડવા માટે ટ્રકમાં માલસામાન ચઢાવવો કે લાવવો કઈ રીતે એ યક્ષ પ્રશ્ન થઈ ગયો છે.

હજ્જારો ટ્રક લોકડાઉનમાં અટવાઈ ગઈ

હવે લોકડાઉનને લીધે મજૂરોની અછત અને કાચા માલની પણ અછત સર્જાવાને લીદે ઉત્પાદનને અસર થવાની શક્યતા છે. આ ઉપરાંત હજજારો ટ્રક લોકડાઉનમાં અટવાઈ છે, જેને લીધે કાચો માલસામાન પણ અધવચ્ચે અટકી ગયો છે.

આંશિક લોકડાઉનમાં પણ આવશ્યક ચીજવસ્તુઓ ખલાસ

સરકાર દ્વારા શરૂમાં જ્યારે આંશિક લોકડાઉનની જાહેરાત થઈ હતી, ત્યારે જે બિસ્કિટ અને અન્ય ખાદ્ય સામગ્રી માટે કાચા માલસામાન ઉપલબ્ધ નહોતો. આ ઉપરાંત હેન્ડવોશ અને હેન્ડ સેનિટાઇઝર્સ માટેનો કાચો માલસામાન જે ઉપલબ્ધ જથ્થો હતો એ તૈયાર થઈને રવાનૈ થઈ ગયો હતો, એમ હિન્દુસ્તાન યુનિલીવરના વરિષ્ઠ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું. વળી કંપની ટૂંક સમયમાં જ એની બિન-આવશ્યક ચીજોનું ઉત્પાદન અથવા સપ્લાય ફરીથી ચાલુ કરશે તેવી સંભાવના હાલપૂરતી તો નથી.

75 ટકા દાળ મિલો નિષ્ક્રિય

લોકડાઉનને પગલે સર્જાયેલી મજૂરની અછત અને કાચા માલની સપ્લાયને કારણે દાળ મિલોનો 75 ટકા નિષ્ક્રિય બની ગઈ છે. આ ઉપરાંત ડાબર ઈન્ડિયા અને નેસ્લે જેવી કંપનીઓને શટડાઉન અને મજૂરોની અછતનો સામનો કરવો પડી રહ્યો છે

કેન્દ્ર-રાજ્યો અને સ્થાનિક વહીવટી તંત્ર પાસે સંદેશવ્યવહાર ખોરવાયો

એફએમસીજી કંપનીઓએ કહ્યું હતું કે  કેન્દ્ર, રાજ્યો અને સ્થાનિક વહીવટ વચ્ચે સંદેશવ્યવહારના અભાવને લીધે પણ સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. બંદરો પર પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

જથ્થાબંધ મથકોએ 50 ટકા હાજરી

જેતે કંપનીના ઉત્પાદક મથકોએથી માલ મોકલવામાં તો મુશ્કેલી વર્તાઈ જ રહી છે, પણ જથ્થાબંધ બજારોમાં પણ મજૂરોની હાજરી 50 ટકા થઈ ગઈ છે.  જેથી રિટેલમાં માલસામાન પહોંચાડવામાં પણ અનેક મુસીબતો ઊભી થઈ છે.

અમારી પાસે આગામી બે સપ્તાહ સુધી અમારા સ્ટોર પર આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે ચોખા, દાળ, લોટ જેવી બધી જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓનો સ્ટોક છે, પણ કઠોળ અને મસાલાઓની અછત છે, કેમ કે આ ચીજવસ્તુઓ મોટા ભાગે રાજસ્થાન, ગુજરાત અને મધ્ય પ્રદેશ જેવાં રાજ્યોમાંથી આવે છે. અને હાલ માલની અવરજવર ઉપર પ્રતિબંધ છે.