ઉન્નાવ રેપ કેસઃ પીડિતાના પિતાની હત્યા મામલે કુલદીપ સેંગરને 10 વર્ષની સજા

નવી દિલ્હી: દિલ્હીની એક કોર્ટે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પિતાના મોતના મામલે કુલદીપસિંહ સેંગર સહિત 7 દોષિતોને 10-10 વર્ષની સજા સંભળાવી છે. આ સાથે જ આરોપીઓ પર 10-10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

આ અગાઉ ગુરુવારે કોર્ટે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પિતાના મોતના મામલે સજા સંભળાવવા મુદ્દે પોતાનો ચુકાદો 13 માર્ચ પર અનામત રાખ્યો હતો. ગુરુવારે કાર્યવાહી દરમિયાન સીબીઆઈએ સાતેય દોષિતો માટે વધુમાં વધુ સજાની માગણી કરી હતી.

સરકારી વકીલે કોર્ટને કહ્યું હતું કે તેમને વધુ સજા મળવી જોઈએ  કારણ કે એક નિર્દોષ વ્યક્તિને ખુબ માર મારીને મારી નાખવામાં આવ્યો. તેમણે એક જઘન્ય અપરાધ કર્યો. આ બાજુ દોષિતોના વકીલે સજા ઓછી કરવાની ભલામણ કરી હતી.

આ મામલો 9 એપ્રિલ 2018ના રોજ દુષ્કર્મ પીડિતાના પિતાના મોત સંબંધે છે. જેમાં સેંગર અને તેના ભાઈ સહિત 7 લોકો દોષિત ઠર્યા હતાં. સેંગરે ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં 2017માં મૃતકની પુત્રી સાથે દુષ્કર્મ કર્યું હતું.