વિદ્યાર્થીઓની ત્રણ માગ પર કોઈ સમાધાન નહીં: રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે વિદ્યાર્થીઓ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની ત્રણ મુખ્ય માગ છે અને આ માગ પર કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું હતું કે પ્રથમ માગ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની છે અને આ મુદ્દે કોઈ ચર્ચા કે સમાધાન સ્વીકાર્ય નથી.

વિદ્યાર્થીઓની ત્રણ માગ એવી છે કે જેના પર કોઈ સમજૂતી થઈ શકે નહીં. પ્રથમ માગ એ છે કે શિક્ષણ મંત્રી, જે ભ્રષ્ટ, અયોગ્ય અને ખોટી વિચારસરણી ધરાવે છે, તેમને પદ પરથી દૂર કરવામાં આવે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં એવી ચર્ચા ચાલી રહી છે કે સમસ્યાનો ઉકેલ ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રાલયમાંથી હટાવીને અન્ય કોઈ મંત્રાલયમાં મોકલવાનો છે, પરંતુ ભારતના વિદ્યાર્થીઓને આ સ્વીકાર્ય નથી. ધર્મેન્દ્ર પ્રધાન ભ્રષ્ટાચાર અને દેશનાં બાળકોના ભવિષ્ય સાથે થયેલા અન્યાયનું પ્રતીક બની ગયા છે. તેમને એક મંત્રાલયમાંથી બીજા મંત્રાલયમાં ખસેડવાથી કોઈ ફેર પડશે નહીં; તેમને પદ પરથી દૂર કરવા જ પડશે, એમ તેમણે કહ્યું હતું.

બીજી માગ એ છે કે વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરનારા દિલ્હી પોલીસના અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે. તેમણે આરોપ લગાવ્યો કે વિદ્યાર્થીઓ સામે પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા માટે વડા પ્રધાન મોદીએ માફી માંગવી જોઈએ. કોંગ્રેસ નેતાએ વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું હતું કે તેમને વિદ્યાર્થીઓ પર ગર્વ છે. વિદ્યાર્થીઓ ડરવાના નથી અને તેઓ દેશના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે. વિદ્યાર્થીઓ ભારતનું ભવિષ્ય છે, જ્યારે નરેન્દ્ર મોદી ભારતનો ભૂતકાળ છે, એમ તેમણે જણાવ્યું હતું.