કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સહિતના અનેક વિપક્ષી નેતાઓને દિલ્હી પોલીસે કસ્ટડીમાંથી મુક્ત કરી દીધા છે. લોક કલ્યાણ માર્ગ (PM આવાસ) બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા નેતાઓની અટકાયત કરીને તેમને અલગ-અલગ સ્થળે રાખવામાં આવ્યા હતા. છત્રસાલ સ્ટેડિયમથી મુક્ત થયા બાદ રાહુલ ગાંધી પોતાના નિવાસસ્થાને જવા રવાના થઈ ગયા હતા. કસ્ટડીમાંથી મુક્ત થયા બાદ વિપક્ષના તમામ ટોચના નેતાઓએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને નીટ પેપર લીક વિવાદમાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર અડગ રહ્યા હતા.

પ્રિયંકા ગાંધી વાડ્રાનું નિવેદન
પોલીસ કસ્ટડીમાંથી બહાર આવ્યા બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ દેશના યુવાનોનો પક્ષ લેતા કહ્યું, જેઓ આપણા બાળકો છે, આપણા યુવાનો છે અને દેશનું ભવિષ્ય છે, તેમની વાત સાંભળવામાં સરકારને શું વાંધો છે? તેઓ એક અત્યંત વાજબી અને સાચા મુદ્દાને લઈને પ્રદર્શન કરી રહ્યા છે. તેમની અવાજ ઉઠાવવી અને તેમના સમર્થનમાં ઊભા રહેવું એ આપણી નૈતિક જવાબદારી છે. ગઈકાલે તેમની સાથે જે વર્તન થયું તે ખૂબ જ ખોટું હતું. જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમે અવાજ ઉઠાવીશું. અમારી માંગણીઓ શરૂઆતથી જ સ્પષ્ટ છે — દેશની કથળેલી શિક્ષણ વ્યવસ્થાને સુધારવી પડશે, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડશે, સંસદમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થવી જોઈએ અને વિદ્યાર્થીઓનું સાંભળવું પડશે.
અખિલેશ યાદવ અને કેસી વેણુગોપાલનો હુમલો
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને સાંસદ અખિલેશ યાદવે જણાવ્યું કે, “વિદ્યાર્થીઓની જે પણ માંગણીઓ છે તે સરકારે તાત્કાલિક સ્વીકારવી જોઈએ. સરકારે વિદ્યાર્થીઓ સાથે ઘોર અન્યાય કર્યો છે અને અમે આ મુદ્દાને સંસદના ગૃહમાં પૂરા જોરથી ઉઠાવીશું. બીજી તરફ, કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે પોલીસ કાર્યવાહીની ટીકા કરતા કહ્યું કે, ગઈકાલે સરકારે પોતાની બર્બરતા બતાવી હતી અને આજે ફરી એ જ બર્બરતાનું પુનરાવર્તન કર્યું. આ સરકાર સંપૂર્ણપણે અલોકતાંત્રિક છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આપણને નોટિસ આપવાનું કહ્યું અને પછી ચર્ચા કરવાનું આશ્વાસન આપ્યું, જે અમને બિલકુલ મંજૂર નથી. અમે ગઈકાલે પણ નોટિસ આપી હતી અને આજે પણ નોટિસ આપી છે.
Delhi: On the Aam Aadmi Party, Congress MP Deepender Singh Hooda says, “…The country knows the reality of the Aam Aadmi Party.” pic.twitter.com/Yqs14CVQO9
— IANS (@ians_india) July 21, 2026
દીપેન્દર હુડ્ડા અને સચિન પાયલટના આકરા પ્રહારો
કોંગ્રેસ સાંસદ દીપેન્દર હુડ્ડાએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે, “દરેક પેપર લીક પાછળ ભાજપ સાથે જોડાયેલા લોકોનો હાથ છે. તેમણે દેશના નવજુવાનોને રસ્તા પર લાવી દીધા છે, હવે અમે આ સરકારને રસ્તા પર લાવીશું. અમારી શરૂઆતથી જ 2 મુખ્ય માંગણીઓ છે — ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અને સંસદમાં ચર્ચા. ગઈકાલે સિવિલ કપડાંમાં આવેલા લોકો લાઠીચાર્જ કરી રહ્યા હતા. તેમ છતાં જો શિક્ષણ મંત્રીને હસવું આવતું હોય તો આખો દેશ તેમના પર હસશે. વિદ્યાર્થીઓની અવાજને રસ્તા પર કચડી શકાય નહીં.”
રાજધાની દિલ્હીમાં કોંગ્રેસ નેતા સચિન પાયલટે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, લોકસભાના નેતા વિપક્ષને રસ્તા પરથી જે રીતે ઉઠાવવામાં આવ્યા અને તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, તે બિલકુલ સ્વીકાર્ય નથી. જે રસ્તાનું નામ લોક કલ્યાણ માર્ગ છે, ત્યાં લોકોના કલ્યાણ માટે જ રાહુલ ગાંધી બેઠા હતા. પરંતુ તેમને, પ્રિયંકા ગાંધીને અને તમામ નેતાઓને ઉઠાવી લેવાયા — આ કેવા પ્રકારની લોકશાહી છે? તેઓ નવજુવાનોની લડાઈ લડી રહ્યા છે. સરકાર માફી માંગવાને બદલે નેતા વિપક્ષને જેલમાં પૂરી રહી છે. આ દેશ, યુવાનો અને આખો વિપક્ષ એકજૂથ છે અને અમે ન્યાય મેળવવા માટે યુવાનોની લડાઈ લડતા રહીશું.




