CEC જ્ઞાનેશકુમાર વિરુદ્ધ વિપક્ષનો ઇમ્પિચમેન્ટ પ્રસ્તાવ

નવી દિલ્હીઃ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે વિરોધ પક્ષે ઇમ્પિચમેન્ટ (મહાભિયોગ) પ્રસ્તાવ લાવવાની તૈયારી શરૂ કરી છે. સંસદનાં બંને ગૃહોમાં વિરોધ પક્ષ તરફથી મહાભિયોગ પ્રસ્તાવ સંબંધિત નોટિસ સોંપવામાં આવી છે. વિરોધ પક્ષનો આરોપ છે કે જ્ઞાનેશકુમાર સત્તાધારી પક્ષ ભાજપને મદદ કરી રહ્યા છે અને વિરોધ પક્ષ વિરુદ્ધ કામ કરી રહ્યા છે.

આ પ્રસ્તાવ માટે કુલ 193 સાંસદોમાંથી 130 લોકસભાના છે, જ્યારે 63 રાજ્યસભાના સભ્યો છે. જોકે આ નોટિસ સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવશે તે હજી સ્પષ્ટ થયું નથી. સંસદીય નિયમો મુજબ મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાના પ્રસ્તાવ માટે લોકસભામાં ઓછામાં ઓછા 100 સાંસદો અને રાજ્યસભામાં ઓછામાં ઓછા 50 સાંસદોના હસ્તાક્ષર જરૂરી હોય છે. વિરોધ પક્ષનો દાવો છે કે જરૂરી સંખ્યા પૂર્ણ કરી લેવામાં આવી છે. જો આ નોટિસ સંસદમાં રજૂ થાય છે, તો કોઈ મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા માટે ઔપચારિક નોટિસ આપવામાં આવવાનો આ પ્રથમ પ્રસંગ હશે.

મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની પ્રક્રિયા શી છે?

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC)ને પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવાની પ્રક્રિયા જેવી જ છે. બંધારણના કલમ 324(5) મુજબ CECને માત્ર એ જ રીત અને એ જ આધાર પર હટાવી શકાય છે, જે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ માટે નક્કી કરવામાં આવ્યા છે.

તે માટે લોકસભાના ઓછામાં ઓછા 100 સભ્યો અથવા રાજ્યસભાના 50 સભ્યોના હસ્તાક્ષર સાથે પ્રસ્તાવ લાવવો જરૂરી છે. CEC અથવા અન્ય ચૂંટણી કમિશનરને હટાવવાની જોગવાઈ ભારતીય બંધારણની કલમ 324માં આપવામાં આવી છે. તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનરને માત્ર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેવી જ પ્રક્રિયા અને આધાર પર પદ પરથી દૂર કરી શકાય છે.