સિંધુના પાણી માટે UNSCમાં પાકિસ્તાનની કાકલૂદીઃ સંધિ ફરી શરૂ કરવાની માગ

14

નવી દિલ્હી: સિંધુ જળ સંધિ (IWT) મુદ્દે ભારતના કડક વલણથી ગભરાયેલું પાકિસ્તાન હવે આંતરરાષ્ટ્રીય મંચોની શરણમાં ગયું છે. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સમક્ષ ભારતના નિર્ણયનો મુદ્દો ઉઠાવી સંધિને “પૂર્ણ રીતે અમલમાં મૂકવા”ની માગ કરી છે.

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ અસીમ ઇફ્તિfખાર અહમદે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી હતી કે તેમણે પાકિસ્તાનના ઉપ વડા પ્રધાન અને વિદેશમંત્રી તરફથી લખાયેલો પત્ર યુએન જનરલ એસેમ્બલીના અધ્યક્ષને સોંપ્યો છે. આ પત્રમાં ભારત દ્વારા સિંધુ જળ સંધિને સ્થગિત કરવામાં આવી હોવાનો નિર્ણય “પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા માટે ગંભીર ખતરો” ગણાવ્યો છે.

ભારતના નિર્ણયથી અકળાયેલા પાકિસ્તાને સુરક્ષા પરિષદને અપીલ કરી છે કે તે ભારતને સિંધુ જળ સંધિ સંપૂર્ણ રીતે પુનઃસ્થાપિત કરવા આહવાન કરે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારતનો નિર્ણય પાકિસ્તાનમાં માનવીય સંકટ ઊભું કરી શકે છે. એ સાથે જ ભારત પર “પ્રચાર અભિયાન” ચલાવવાનો આરોપ મૂકતાં કાશ્મીર મુદ્દો ફરી આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવામાં આવ્યો છે.

ભારતે પાણીને વ્યૂહાત્મક હથિયાર બનાવ્યું

આ દરમિયાન આંતરરાષ્ટ્રીય વિશ્લેષકોનું માનવું છે કે ભારતે પહેલી વાર પાણીના મુદ્દાને વ્યૂહાત્મક અને શરતો સાથે જોડાયેલા વિષય તરીકે રજૂ કર્યો છે. યુરોપાવાયર માટે લખતાં ગ્રીક વિશ્લેષક દિમિત્રા સ્ટાયકૌએ કહ્યું હતું કે પહલગામ આતંકી હુમલા બાદ ભારતે સ્પષ્ટ કરી દીધું કે લોહી અને પાણી સાથે-સાથે વહે શકતા નથી.

પાકિસ્તાનની ધમકીઓ પર ભારતનો કડક જવાબ

સિંધુ જળ સંધિ મુદ્દે ભારતના નિર્ણયે પાકિસ્તાનને કૂટનીતિ અને વ્યૂહાત્મક બંને મોરચે બેકફૂટ પર ધકેલી દીધું છે. UNSCમાં અપીલ કરીને પાકિસ્તાન પોતે પીડિત છે તેવું દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો સંદેશ વધુ સ્પષ્ટ છે કે આતંક અને કરાર સાથે ચાલી શકતા નથી.

શા માટે સંધિ સ્થગિત કરાઈ?

ભારતનું સ્પષ્ટ કહેવું હતું કે લોહી અને પાણી એકસાથે વહે શકતા નથી. સરકારે જણાવ્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને વિશ્વસનીય અને સ્થાયી રીતે સમાપ્ત નહીં કરે, ત્યાં સુધી 1960ની સંધિને જૂની રીતથી ચાલુ રાખવી ભારતના રાષ્ટ્રીય હિત અને નાગરિકોની સુરક્ષાના વિરોધમાં છે.