પશ્ચિમ બંગાળના લોકો ઘૂસણખોરીને લઈને ચિંતિતઃ શાહ

કોલકાતાઃ ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે કોલકાતામાં પશ્ચિમ બંગાળ સરકાર પર જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળના લોકો ઘૂસણખોરીને લઈને ચિંતિત છે, પરંતુ મમતા બેનર્જી ચૂંટણીલાભ માટે બાંગ્લાદેશી ઘૂસણખોરીને પ્રોત્સાહન આપી રહી છે. તેમણે કહ્યું હતું કે ભાજપની સરકાર બનશે ત્યારે માત્ર ઘૂસણખોરોની ઓળખ જ નહીં કરવામાં આવે, પરંતુ તેમને બહાર પણ કાઢવામાં આવશે.

શાહે દાવો કર્યો કે પશ્ચિમ બંગાળના અર્થતંત્રમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે અને ઉદ્યોગો રાજ્ય છોડીને જઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસે ભય અને હિંસાના રાજકારણમાં વામપંથીઓને પણ પાછળ છોડી દીધા છે. તેમણે કહ્યું હતું કે 2026માં પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનશે અને ભાજપ પૂર્વી સરહદોથી ઘૂસણખોરી રોકશે તથા સત્તામાં આવ્યાના બાદ બંગાળના પુનરુત્થાનને સુનિશ્ચિત કરશે.

તેમણે કહ્યું હતું કે બંગાળની જનતાએ કોંગ્રેસ, વામપંથી અને તૃણમૂલને શાસન કરવાની તક આપી છે. હવે હું તેમને ભાજપને એક તક આપવા માટે અપીલ કરું છું.

હું પશ્ચિમ બંગાળના નાગરિકોને આશ્વાસન આપવા માગું છું કે રાજ્યમાં ભાજપની સરકાર બન્યા બાદ રાજ્ય સરકારની તમામ હાલની યોજનાઓ ચાલુ રહેશે. અમે જે યોજનાઓનું વચન આપીએ છીએ, તે બધાને જમીન પર અમલમાં મૂકવામાં આવશે. કોમ્યુનિસ્ટોના શાસન દરમિયાન, ટીએમસીના શાસન પહેલાં, પશ્ચિમ બંગાળની પ્રતિ વ્યક્તિ આવક રાષ્ટ્રીય સરેરાશથી 127 ટકા વધુ હતી. આજે જો દેશનો નાગરિક રૂ. 100 કમાય છે, તો બંગાળનો નાગરિક માત્ર રૂ. 73 કમાય છે. મમતા સરકારને તેનો જવાબ આપવો પડશે. એક સમય હતો જ્યારે દરેક પ્રકારના ઉદ્યોગની શરૂઆત પશ્ચિમ બંગાળની જમીન પરથી થઈ હતી. આજે બંગાળમાં ભ્રષ્ટાચાર, ઘૂસણખોરી અને ટોલબાજીના કારણે સમગ્ર ઉદ્યોગ રાજ્ય છોડીને જઈ રહ્યા છે.

કેન્દ્ર સરકારની યોજનાઓ અમલમાં મૂકવામાં રાજ્ય સરકારને પોતાનો વોટબેંક ગુમાવવાનો ભય છે. પીએમ કિસાન યોજના મોડેથી લાગુ કરવામાં આવી, જેને કારણે બંગાળના ખેડૂતોને રૂ. 10,000 કરોડનું નુકસાન થયું. આયુષ્માન ભારત યોજના આજદિન સુધી લાગુ કરવામાં આવી નથી, એમ તેમણે કહ્યું હતું.