પાયલટ ડે: તાત્કાલિક સારવારમાં સફળ 108ના પાયલટને સન્માનવાનો દિવસ

અમદાવાદ: પહેલાંના સમયમાં ડાયલ 100 કરીએ એટલે પોલીસ આવી જાય. 101 કરીએ એટલે ફાયર બ્રિગેડ આગ નિયંત્રણ સાથે એની એમ્બ્યુલન્સ પણ સેવા આપે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી 108ની મેડિકલ ઇમરજન્સી સેવાના કારણે જબરદસ્ત પરિવર્તન આવ્યું છે. લોકોને કોઇપણ પ્રકારની અચાનક માંદગી અને અકસ્માતમાં 108 દ્વારા 24 x 7 ચાલતી સેવાઓએ અસંખ્ય જીવ બચાવ્યા છે.ગુજરાત સરકારની લોકભાગીદારી GVK EMRI GREEN HEALTH SERVICEની 108ની મેડિકલ સેવાઓએ નાગરિકોમાં એક જબરદસ્ત વિશ્વાસ ઉભો કર્યો છે. તાત્કાલિક સારવાર આપવાની આ સેવાઓમાં કોઇપણ ઘટના સ્થળે કે દર્દી સુધી ડોકટરની ટીમને સામગ્રી પહોંચાડવામાં પાયલોટનો મહત્વ પૂર્ણ ફાળો હોય છે. એ ગાડીના ચાલક પાયલટને આજે સન્માનવાનો દિવસ છે. 108ની સેવા, ઇ.એમ.આર.ઇ. ગ્રીન હેલ્થ સર્વિસિસ 26 મેના રોજ પાયલોટ દિવસની ઉજવણી કરે છે.

યોગ્ય એમ્પ્યુલન્સ પાયલોટના કારણે કોઇપણ માણસ માર્ગ પર બિમાર પડે કે અકસ્માત થાય ત્યારે એને તાત્કાલિક ઝડપી પ્રાથમિક સારવાર મળી જાય તેમજ એને યોગ્ય રીતે નજીકની હોસ્પિટલ પર પહોંચાડી શકાય.

પાયલટ ડેના આ દિવસે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લામાં નક્કી કરેલા સ્થળે ઉમદા કામગીરી બદલ, 108, ખિલખિલાટ, 1962, દશ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું , મોબાઇલ વેટરનરી યુનિટ, ધનવન્તરિ આરોગ્ય રથ, આરોગ્ય સંજીવની 181 અભયમ, મહિલા હેલ્પલાઇન, 112 જનરક્ષક સેવામાં કાર્યરત પાયલટ, કેપ્ટન, ડ્રાઇવરને સન્માનિત કરવામાં આવ્યા હતા. 29 ઓગષ્ટ 2007થી 108 એમ્બ્યુલન્સ સર્વિસ દ્વારા કટોકટીની પરિસ્થિતિમાં અત્યાર સુધી અંદાજે 1 કરોડ 93 લાખ જુદા જુદા કિસ્સાઓમાં સેવાઓ પૂરી પાડી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)