વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેલંગાણાના હૈદરાબાદમાં આશરે 9400 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન મંચ પર વડાપ્રધાન મોદી અને કોંગ્રેસના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી વચ્ચે રાજકીય સૌહાર્દ અને હળવી મજાક જોવા મળી હતી. પીએમ મોદીએ રેવંત રેડ્ડીના વિઝન પર પ્રતિભાવ આપતા રમૂજમાં એક મહત્વની ઓફર પણ કરી દીધી હતી.

રેવંત રેડ્ડીનું ‘તેલંગાણા મોડેલ’ અને PMનો પ્રતિભાવ
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જણાવ્યું હતું કે, જે રીતે મનમોહન સિંહના કાર્યકાળમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ‘ગુજરાત મોડેલ’ વિકસાવ્યું હતું, તેવી જ આશા હવે તેલંગાણાની જનતાને છે. તેમણે ૨૦૩૪ સુધીમાં તેલંગાણાને ૧ ટ્રિલિયન ડોલરની અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આના જવાબમાં પીએમ મોદીએ હસતા હસતા કહ્યું કે, “રેવંતજીએ કહ્યું હતું કે આપણે રાજકીય વાત નહીં કરીએ, તો હું પણ નહીં કરું. ૧૦ વર્ષમાં કેન્દ્ર સરકારે ગુજરાતને જેટલું આપ્યું છે તેટલું જ હું તમને આપવા તૈયાર છું, પણ મારી જાણકારી મુજબ જો હું એમ કરીશ તો તમને અત્યારે જે મળી રહ્યું છે તે અડધું થઈ જશે!” વડાપ્રધાને મજાકના સૂરમાં ઉમેર્યું કે, “તમે જ્યાં પહોંચવા માંગો છો ત્યાં પહોંચી નહીં શકો, એટલે સારું એ જ છે કે તમે મારી સાથે જોડાઈ જાઓ.”
વૈશ્વિક ઉર્જા સંકટ અને વડાપ્રધાનની અપીલ
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તેના કારણે સર્જાયેલા ઉર્જા સંકટ પર ચિંતા વ્યક્ત કરતા પીએમ મોદીએ દેશવાસીઓને પેટ્રોલિયમ ઉત્પાદનોનો સંયમપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આયાતી પેટ્રો ઉત્પાદનોનો જરૂરિયાત મુજબ જ વપરાશ કરવાથી વિદેશી મુદ્રાની બચત થશે અને યુદ્ધની માઠી અસરો ઘટાડી શકાશે. તો બીજી તરફ લોકોને એક વર્ષ સુધી ગોલ્ડ ન ખરીદવાની પણ અપીલ કરી હતી.
સૌર ઉર્જા અને સસ્તી ગેસ સપ્લાય પર ભાર
વડાપ્રધાને છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે સૌર ઉર્જા અને ઇથેનોલ બ્લેન્ડિંગ ક્ષેત્રે કરેલી પ્રગતિની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે સરકાર હવે ૧૦૦ ટકા એલપીજી કવરેજ બાદ સસ્તી પાઈપ્ડ ગેસ સપ્લાય (PNG) અને સીએનજી આધારિત વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ તમામ પ્રયાસોને કારણે જ ભારત વૈશ્વિક ઉર્જા સંકટનો મજબૂતીથી સામનો કરી રહ્યું છે. તેમણે તેલંગાણાના પરિવારોને ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર તેમના સપના સાકાર કરવા માટે વધુ ગતિથી કામ કરશે.


