PM મોદીએ સુરતમાં કર્યું 18,100 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

સુરત: વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવ્યા. અહીં તેમણે દક્ષિણ ગુજરાતના વિકાસને નવી ગતિ આપતા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પ્રજાને સમર્પિત કર્યા. દિવસભરના વ્યસ્ત કાર્યક્રમ દરમિયાન તેમણે હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T) પ્લાન્ટની મુલાકાત લઈને ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન હેઠળ નિર્માણાધીન અદ્યતન સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ PM મોદી ઇન્ડોર સ્ટેડિયમ પહોંચ્યા હતા. જ્યાંથી તેમણે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિત 7 જિલ્લા માટે અંદાજીત રૂ.18,778 કરોડના વિવિધ 8 વિભાગોના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી. આ મેગા પ્રોજેક્ટ્સમાં રૂ.13,926 કરોડના મહત્વકાંક્ષી કાર્યોનું લોકાર્પણ અને રૂ.4,852 કરોડના વિવિધ 5 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું હતું.વડાપ્રધાન સુરત એરપોર્ટથી સીધા હજીરા પહોંચ્યા હતા, જ્યાં તેમણે દેશની આત્મનિર્ભરતા અને આધુનિક ઉત્પાદન ક્ષમતાને મજબૂત બનાવતા પ્રોજેક્ટ્સ અંગે વિસ્તૃત માહિતી મેળવી. ત્યારબાદ તેઓ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત જાહેર કાર્યક્રમમાં જોડાયા, જ્યાં ડિજિટલ માધ્યમથી વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું તેમજ વિશાળ જનમેદનીને સંબોધિત કરી. સુરતમાં જાહેર કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “વિકસિત ગુજરાત, વિકસિત ભારત”ના સંકલ્પને ફરી એકવાર લોકો સુધી પહોંચાડ્યો. તેમણે જણાવ્યું કે ગુજરાતની જનતાએ સતત સેવા અને વિકાસના મિશનને મજબૂત સમર્થન આપ્યું છે. હવે વધુ મહેનત કરીને વિકાસની ગતિને આગળ વધારવાની જરૂર છે. ગુજરાત અને ભારત બંનેને વિકસિત બનાવવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે અને જનસમર્થન આ મિશનનો આધાર છે.સુરતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન Narendra Modiએ શહેરમાં ચાલેલી વિશાળ સફાઈ ઝુંબેશની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે એક સમય એવો હતો કે જ્યારે સુરત શહેર પ્લેગના રોગનો ભોગ બન્યું હતું. જ્યારે આજે સ્વચ્છતામાં તેનો ડંકો વાગે છે. શહેરમાં ચાલેલા સફાઈ અભિયાનમાં લગભગ એક લાખ લોકોએ પાંચ દિવસ સુધી ભાગ લીધો હતો.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા સતત વધી રહી છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં દેશવાસીઓને સરકાર પર વિશ્વાસ છે અને ભારત સુરક્ષિત હાથોમાં છે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે ક્લાયમેન્ટ ચેન્જ જેવી પડકારજનક પરિસ્થિતિને સરકાર વિકાસના અવસરમાં બદલવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતે આ સદીની શરૂઆતમાં ક્લાયમેન્ટ ચેન્જમાં એક અલગ વિભાગ બનાવ્યો હતો. આવી વ્યવસ્થાવાળું તે દેશનું પ્રથમ રાજ્ય હતું. પાટણના ચારણકા ગામમાં ભારતનો પ્રથમ સોલાર પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો. ગુજરાતે દેશને પ્રેરણા આપી. આજે ભારત પ્રકૃત્તિ સાથે પ્રગતિના મંત્ર સાથે વિકાસ કરી રહ્યું છે.વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે યોજાયેલી આ મુલાકાત વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવતી મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહી છે.