PM ભાવનગરની મુલાકાતે, 26 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 20 સપ્ટેમ્બર, 2025ના રોજ ભાવનગરની મુલાકાતે આવવાના છે. તેઓ અહીં આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ 66,025 કરોડ રૂપિયાના MoUsનું રિમોટ બટન દબાવીને લોકાર્પણ કરશે. જેમાં બંદરો અને શિપિંગ સંબંધિત 21 એમઓયુનો સમાવેશ થાય છે. આ સાથે જ, પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ માટે 7,870 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.ઉપરાંત ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ રાજ્યની જનતા માટે 26,354 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. આમ, કુલ મળીને વડાપ્રધાન મોદી ભાવનગર ખાતેથી 1 લાખ કરોડથી વધુની કિંમતના વિકાસ કાર્યોની ભારતની જનતાને ભેટ આપશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ પણ ઉપસ્થિત રહેશે.ભારત સરકારના મંત્રાલયો હેઠળના કેટલાક મહત્વપૂર્ણ વિકાસકાર્યોમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળ 4700 કરોડના ખર્ચે છારા બંદર પર નિર્મિત HPLNG LNG રિગેસિફિકેશન ટર્મિનલનું અને 5894 કરોડના ખર્ચે વડોદરાની ગુજરાત રિફાઇનરી ખાતે નિર્મિત ઇન્ડિયન ઓઇલના એક્રેલિક/ઓક્સો-આલ્કોહોલ પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય હેઠળ ₹1500 કરોડના ખર્ચે સુરેન્દ્રનગરમાં નિર્મિત 280 મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું અને ₹1660 કરોડના ખર્ચે ગુજરાતના અમરેલી, અમદાવાદ, બનાસકાંઠા, ભાવનગર, જામનગર, જૂનાગઢ, કચ્છ, મહેસાણા, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ અને બોટાદ એમ 17 જિલ્લાઓમાં પીએમ કુસુમ યોજના અંતર્ગત 475 મેગાવોટના લગભગ 172 ડિસેન્ટ્રલાઇઝ્ડ સોલાર પાવર પ્લાન્ટ્સના લોકાર્પણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેઓ કોલસા મંત્રાલય હેઠળ કરોડોના ખર્ચે તૈયાર થનારા વિવિધ વિંડ અને સોલાર પાવર પ્રોજેક્ટ્સ તેમજ રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય હેઠળ વિવિધ રોડ-રસ્તાઓના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરશે.

યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજના હેઠળ ધોરડો ગામના 100% રહેણાંક હેતુના વીજજોડાણોનું સોલરાઇઝેશન થયું છે, જેનાથી સોલાર રૂફટોપની રાજ્યની ક્ષમતામાં વધારો થશે તથા ધોરડોના રહેણાંક ઘરો પોતાની વીજળી ઉત્પન્ન કરવા માટે સક્ષમ બનશે. વડાપ્રધાનશ્રી 20 સપ્ટેમ્બર, 2025ના રોજ ભાવનગરના કાર્યક્રમમાં સૌર ઊર્જા સંચાલિત ધોરડો ગામનું લોકાર્પણ કરશે.