PM મોદીના 76મા જન્મદિને સવા લાખ દીવડાથી ઝગમગી ઉઠ્યું કાંકરિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિન તેમજ વડાપ્રધાન તરીકે અને રાજ્યના મુખ્યમંત્રી તરીકેના તેમના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર પર સમગ્ર ગુજરાતમાં પૂરજોશમાં ‘સેવા સંકલ્પ અભિયાન’નો શુભારંભ થયો છે. આ વિશેષ પ્રસંગે પાટનગરથી લઈને અમદાવાદ સુધી વિવિધ ભવ્ય ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જગન્નાથ મંદિરે ભવ્ય મહાઆરતી અને સફાઈકર્મીઓ સાથે સંવાદ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીના વડનગરમાં યોજાયેલા ભવ્ય કાર્યક્રમો બાદ અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે હાજરી આપી હતી. બંને નેતાઓએ ભગવાન જગન્નાથજીના દર્શન કરી વડાપ્રધાન મોદીના ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ આયુષ્ય માટે મહાઆરતીમાં ભાગ લીધો હતો.

મંદિર પરિસરમાં આશરે એક હજારથી વધુ સફાઈકર્મીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સફાઈકર્મીઓ દ્વારા ઉત્સાહપૂર્વક ‘જય શ્રી રામ’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવવામાં આવતા ગૃહમંત્રી અમિત શાહે તેમની પાસે જઈને મુલાકાત કરી હતી અને તેમની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાંકરિયા લેકફ્રન્ટ પર સવા લાખ દીવડાઓની રોશની

અમદાવાદનું ઐતિહાસિક કાંકરિયા લેકફ્રન્ટ ‘એક દીવો આશીર્વાદનો’ કાર્યક્રમ અંતર્ગત સવા લાખ જેટલા દીવડાઓના આકર્ષક પ્રકાશથી ઝગમગી ઊઠ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ વિશાળ જનમેદની સાથે માં ભારતીની મહાઆરતી ઉતારી હતી. મોટી સંખ્યામાં એકત્ર થયેલા નાગરિકોએ પોતાના હાથમાં દીવો પ્રગટાવી વડાપ્રધાન મોદીના કલ્યાણકારી નેતૃત્વ અને 25 વર્ષની સેવાયાત્રાને બિરદાવી હતી.

આ ઉપરાંત, નેતાઓએ અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આયોજિત સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પહોંચી ભગવાન ગણેશજીના દર્શન કરી આરતી પૂજનમાં ભાગ લીધો હતો.