વિદ્યાર્થીઓની માંગણીઓ અંગે રાહુલ ગાંધીએ ઝારખંડના CMને લખ્યો પત્ર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ઝારખંડમાં વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ છે. વિદ્યાર્થીઓની માંગણીઓ વાજબી છે. ભારતના યુવાનો દેશનું ભવિષ્ય છે.

ઝારખંડમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી હેમંત સોરેનને પત્ર લખ્યો છે. રાહુલ ગાંધીએ સૂચન કર્યું છે કે સોરેન વ્યક્તિગત રીતે વિદ્યાર્થી પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરે. રાહુલ ગાંધીએ પોતાના પત્રમાં એમ પણ કહ્યું છે કે વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન અત્યાર સુધી શાંતિપૂર્ણ છે. તેમણે સોરેનને આ મુદ્દાને ઉકેલવા માટે શક્ય તેટલા પ્રયાસો કરવાની સલાહ પણ આપી હતી.

રાહુલ ગાંધીએ 14 ઓગસ્ટના રોજ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને આ પત્ર લખ્યો હતો. એવું માનવામાં આવે છે કે રાહુલ ગાંધીની માંગ પર જ હેમંત સોરેન સરકાર વિરોધ કરી રહેલા વિદ્યાર્થી પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી શકે છે.

શાંતિપૂર્ણ વિરોધનો અધિકાર

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સોરેનને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે,’કોંગ્રેસ પાર્ટી માને છે કે ભારતના બંધારણમાં શાંતિપૂર્ણ વિરોધનો અધિકાર આપણી લોકશાહીના મુખ્ય સ્તંભોમાંનો એક છે. તેથી, અમે છેલ્લા કેટલાક મહિનાઓમાં પેપર લીક અને શિક્ષણ પ્રણાલીમાં અનિયમિતતાઓ સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને અમારો સંપૂર્ણ ટેકો આપ્યો છે.’

પત્રમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે,’અમારું માનવું છે કે ભારતીય શિક્ષણ પ્રણાલીને આરએસએસ અને ભાજપ દ્વારા હાઇજેક કરવામાં આવી છે. તેને વિદ્યાર્થીઓના શોષણ અને દમન માટે એક સાધનમાં ફેરવી દેવામાં આવી છે. તે હવે એક દાયકા પહેલા જેવી મજબૂત જ્ઞાન પ્રણાલી નથી રહી.’ તેમણે ઉમેર્યુ કે,’જેમ તમે જાણો છો, ઝારખંડમાં વિદ્યાર્થીઓ પણ રાજ્ય ભરતી પરીક્ષાઓમાં અનિયમિતતાઓ સામે વિરોધ કરી રહ્યા છે. તેમનો વિરોધ શાંતિપૂર્ણ રહ્યો છે, અને તેમની માંગણીઓ કાયદેસર છે. હું પ્રશંસા કરું છું કે ઝારખંડ સરકારે તમે બનાવેલી સમિતિ દ્વારા તેમની સાથે વાતચીત શરૂ કરી છે. મારું માનવું છે કે વિદ્યાર્થીઓ દ્વારા ઉઠાવવામાં આવેલી ઘણી માંગણીઓ પર સંમતિ સધાઈ ગઈ છે. જોકે, વિરોધ પ્રદર્શન ચાલુ છે, અને કેટલાક વિદ્યાર્થીઓ હજુ પણ અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ પર છે.’

કોંગ્રેસના સાંસદે કહ્યું,’હું તમને (હેમંત સોરેન) પત્ર લખીને સૂચન કરી રહ્યો છું કે તમે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ સાથે વ્યક્તિગત રીતે મુલાકાત કરો. આનાથી સરકારની તેમની બાકી રહેલી ચિંતાઓને દૂર કરવાની પ્રતિબદ્ધતા વધુ મજબૂત થશે.’ રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું,’ભારતના યુવાનો દેશનું ભવિષ્ય છે. કટોકટીના આ સમયમાં, આપણે તેમની સાથે એકતા બતાવવી જોઈએ અને તેમને ટેકો આપવો જોઈએ. કૃપા કરીને તેમને સાંભળવાનો અને આ મુદ્દાને ઉકેલવા માટે યોગ્ય પગલાં લેવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરો.’