અમદાવાદ જિલ્લામાં મેઘતાંડવ, 430 લોકોનું સુરક્ષિત સ્થળાંતર

અમદાવાદ: ધોળકા, વિરમગામ અને ધંધુકા તાલુકામાં શનિવારે પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ રહી. જેના કારણે જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે. વરસાદના કારણે સર્જાયેલી આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સક્રિય બન્યું છે.

જિલ્લામાં પૂરગ્રસ્ત અને નીચાણવાળા વિસ્તારોમાંથી કુલ 430 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સાથે જ પાણીમાં ફસાયેલા 40 લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત ખસેડાયા છે, જેમાંથી 6 વ્યક્તિઓની ગંભીર હાલત હોવાના કારણે તેમને તાત્કાલિક ધોરણે યોગ્ય સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ધોળકામાં સેના મોરચે

નાગરિકોની સુરક્ષા માટે SDRFની ટીમો દ્વારા સઘન બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ભારે જળબંબાકારના કારણે ગ્રામ્ય વિસ્તારના કુલ 11 રસ્તાઓ હાલ સુરક્ષા માટે બંધ કરી દેવામાં આવ્યા છે, જ્યારે ધોળકામાં પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આર્મી યુનિટ દ્વારા સતત રાહત અને બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે.

વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તંત્ર દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

આર્મી અને SDRF દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ

ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, બનાસકાંઠા અને પાટણ જિલ્લાની તમામ શાળા-કોલેજો તેમજ આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તંત્ર દ્વારા વાલીઓ અને નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ અતિ આવશ્યક કામ સિવાય ઘરની બહાર ન નીકળે અને સુરક્ષિત સ્થાનો પર રહે. વહીવટી તંત્ર દ્વારા દરેક સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈપણ અનિચ્છનીય બનાવ ટાળી શકાય.