ચેન્નઈ: તામિલનાડુના રાજકારણમાં AIADMK કેમ્પમાં મોટી રાજકીય હલચલ જોવા મળી રહી છે. આજે યોજાનારી ધારાસભ્ય દળની બેઠક મુલતવી રાખવામાં આવી છે. 47 ધારાસભ્યોમાંના મોટા ભાગના TVK ને સમર્થન આપવાની માગ કરી રહ્યા છે. અપ્રત્યક્ષ રીતે એડાપડ્ડી પલાનીસ્વામીને ચેતવણી આપવામાં આવી છે કે જો તેમણે જલદી નિર્ણય નહીં લીધો તો 30થી વધુ ધારાસભ્યો પાર્ટી તોડી વિજયની પાર્ટી TVKને સમર્થન આપે એવી શક્યતા છે.આ બળવાનું નેતૃત્વ સીવી ષણમુન્ગમ કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ થોડા સમયમાં AIADMKના ધારાસભ્યો તેમના નિવાસસ્થાને પહોંચી શકે છે.
તામિલનાડુમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળી?
તામિલનાડુમાં 23 એપ્રિલે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને ચોથી મેએ પરિણામ જાહેર થયાં હતાં. આ ચૂંટણીમાં નવી પાર્ટી TVKએ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું અને સૌથી વધુ સીટો મેળવી હતી.
* TVK – 108 સીટ
* DMK – 59 સીટ
* AIADMK – 47 સીટ
* કોંગ્રેસ – પાંચ સીટ
* PMK – ચાર સીટ
હાલ તામિલનાડુના રાજકારણમાં શું ચાલી રહ્યું છે?
TVK પાસે 108 સીટો હોવા છતાં તેને સંપૂર્ણ બહુમત મળ્યું નથી. સરકાર બનાવવા માટે 118 સીટોની જરૂર છે, એટલે કે તેને હજુ 10 ધારાસભ્યોની જરૂર છે.

હવે જોવાનું એ છે કે TVK કોની સાથે મળીને સરકાર બનાવે છે. એક તરફ કોંગ્રેસ પોતાની પાંચ સીટ સાથે સમર્થન આપવા તૈયાર છે, જ્યારે બીજી તરફ AIADMKના મોટા ભાગના ધારાસભ્યો પણ TVKને સમર્થન આપવા માગે છે. આ ઉપરાંત, AIADMKના નેતાઓએ અપ્રત્યક્ષ રીતે એડાપડ્ડીને ચેતવણી આપી છે કે જો જલદી નિર્ણય નહીં લેવાય તો 30થી વધુ ધારાસભ્યો પાર્ટી તોડી વિજયને સમર્થન આપશે.
એકંદરે જોવામાં આવે તો હાલની પરિસ્થિતિમાં વિજય મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યા છે.




