ભારતમાં LPG પુરવઠાને લઈને સરકારે મોટી રાહત આપી છે. 46,313 મેટ્રિક ટન રાંધણ ગેસ લઈને આવતું જહાજ ‘MT સર્વ શક્તિ’ ટૂંક સમયમાં વિશાખાપટ્ટનમ પહોંચશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં LPG, PNG અને CNGનો 100% પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે અને ક્યાંય પણ અછત જેવી સ્થિતિ નથી. ઓનલાઇન બુકિંગ અને ડિલિવરી સિસ્ટમમાં પણ ધરખમ સુધારો જોવા મળ્યો છે. આ સાથે જ સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરીને સામાન્ય જનતાને આર્થિક રાહત પણ આપી છે.

દેશમાં ઘરેલું LPG પુરવઠાની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરતા સરકારે જણાવ્યું છે કે હાલમાં સપ્લાય સંપૂર્ણપણે સામાન્ય છે. 2 મે ના રોજ એક જ દિવસમાં દેશભરમાં અંદાજે 47 લાખ LPG સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. બજારમાં ‘ડ્રાય-આઉટ’ એટલે કે ગેસ પૂરો થઈ જવાની કોઈ જ સંભાવના નથી. આ ઉપરાંત, બુકિંગ અને ડિલિવરી પ્રક્રિયામાં પણ ટેકનોલોજીના ઉપયોગથી મોટો સુધારો કરવામાં આવ્યો છે. હાલમાં ઓનલાઇન બુકિંગ 99% સુધી પહોંચી ગયું છે, જ્યારે DAC (ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ) આધારિત ડિલિવરી 94% સફળ રહી છે. ગ્રાહકોની સુવિધા માટે શહેરી વિસ્તારોમાં બુકિંગ અંતરાલ 21 થી વધારીને 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસ કરવામાં આવ્યો છે.
કોમર્શિયલ LPG સેક્ટરમાં પણ સરકાર સાવચેતીપૂર્વક આગળ વધી રહી છે. હાલમાં કોમર્શિયલ ગેસનો પુરવઠો કટોકટી પૂર્વેના સ્તરના 70% સુધી પહોંચી ગયો છે. સરકાર દ્વારા હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને ફાર્માસ્યુટિકલ સેક્ટરને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. એપ્રિલ 2026 થી અત્યાર સુધીમાં અંદાજે 2.14 લાખ મેટ્રિક ટન કોમર્શિયલ LPGનું વેચાણ કરવામાં આવ્યું છે. મજૂરો અને નાના જરૂરિયાતમંદ પરિવારો માટે 5 કિલોના નાના સિલિન્ડરની સપ્લાય પણ વધારી દેવામાં આવી છે. એપ્રિલથી અત્યાર સુધીમાં 23.44 લાખ આવા નાના સિલિન્ડર વેચાયા છે અને જનજાગૃતિ માટે ઓઈલ કંપનીઓએ 10,100 થી વધુ કેમ્પ લગાવ્યા છે.

