શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઉમર અબદુલ્લાએ શનિવારે ભાજપ પર પૈસા અને મંત્રીપદની લાલચ આપીને નેશનલ કોન્ફરન્સ (NC)ને તોડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની માગને લઈને દિલ્હીમાં યોજાનારા વિરોધ પ્રદર્શન પહેલાં એક સભાને સંબોધતાં મુખ્ય મંત્રી ઉમરે જણાવ્યું હતું કે જમ્મુમાં NCના એક ધારાસભ્યને પાર્ટી છોડવા બદલ 30 કરોડ રૂપિયા, મંત્રીપદ અને રાજ્યનો દરજ્જો પાછો અપાવવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો.
તેમણે મોટી જનસભામાં કહ્યું હતું કે કેન્દ્ર સરકારે અમારી સહનશીલતા અને મૌનને અમારી કમજોરી સમજી છે. NCના સ્થાપક શેખ મોહમ્મદ અબદુલ્લાની પત્ની બેગમ અકબર જહાંની પુણ્યતિથિ નિમિત્તે આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો કાર્યકરો હાજર રહ્યા હતા. મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે ભાજપના એક વરિષ્ઠ નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલે જમ્મુમાં બંધ દરવાજા પાછળ અમારા એક ધારાસભ્યને 20-30 કરોડ રૂપિયા, મંત્રીપદ અને તેમની સાથે જોડાય તો રાજ્યનો દરજ્જો પાછો અપાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. તેમને લાગે છે કે અમારી આસ્થા અને વિશ્વાસ ખૂબ સસ્તા છે. પરંતુ કોઈ પણ ધારાસભ્ય 30 કરોડ માટે તો શું, 100 કરોડ રૂપિયા માટે પણ વેચાવા તૈયાર નથી.
મુખ્ય મંત્રીએ કેન્દ્ર સરકાર સામે કડક વલણ અપનાવતાં જણાવ્યું હતું કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં લાંબા સમયથી બાકી રહેલી પંચાયત અને શહેરી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી માટે ‘યોગ્ય સમય’ તેઓ નક્કી કરશે. આ ટિપ્પણી કેન્દ્ર સરકાર દ્વારા વારંવાર આપવામાં આવતા “યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો પરત આપવામાં આવશે” એવાં આશ્વાસનોના સંદર્ભમાં હતી.
તેમણે આગળ કહ્યું હતું કે તમે જમ્મુ-કાશ્મીરની જનતાને વચન આપ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી પછી રાજ્યનો દરજ્જો પરત આપવામાં આવશે. હવે તમે અહીં કેટલી વધુ ચૂંટણી કરાવવા માગો છો? હવે તમે સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી ઇચ્છો છો. પરંતુ હું તમને કહી દઉં કે પંચાયત અને ULB (શહેરી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ)ની ચૂંટણી યોગ્ય સમયે જ થશે, અને તે યોગ્ય સમય અમે નક્કી કરીશું.






