નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે હિંદુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મ માનનાર વ્યક્તિને અનુસૂચિત જાતિ (SC)નો સભ્ય માનવામાં આવી શકતો નથી. કોર્ટે વધુમાં જણાવ્યું કે અન્ય ધર્મમાં ધર્માંતરણ કર્યા બાદ અનુસૂચિત જાતિનો દરજ્જો ખતમ થઈ જાય છે.
જસ્ટિસ પી.કે. મિશ્રા અને એન.વી. અંજરિયાની બેન્ચે નિર્ણય આપ્યો હતો કે ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરેલી દલિત વ્યક્તિ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ થયેલા ઉલ્લંઘનનો દાવો કરી શકતી નથી. કોર્ટે કહ્યું હતું કે હિંદુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મ માનનાર વ્યક્તિ અનુસૂચિત જાતિનો સભ્ય બની શકતી નથી. અન્ય ધર્મમાં ધર્માંતરણ થતાં જ અનુસૂચિત જાતિનો દરજ્જો સમાપ્ત થઈ જાય છે.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે બંધારણ, કાયદો અથવા રાજ્ય વિધાનસભા હેઠળ મળતા કોઈ પણ કાનૂની લાભ, સુરક્ષા, આરક્ષણ અથવા હક એવી વ્યક્તિને આપવામાં આવી શકતા નથી જેને કલમ 3 હેઠળ અનુસૂચિત જાતિનો સભ્ય માનવામાં આવતો નથી. આ પ્રતિબંધ સંપૂર્ણ છે.
શું હતો આખો મામલો?
સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આંધ્ર પ્રદેશ હાઈ કોર્ટના મે, 2025ના ચુકાદા સામે પાદરી ચિન્થડા આનંદ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર આપ્યો હતો. આનંદે આરોપ લગાવ્યો હતો કે અક્કાલા રામીરેડ્ડી અને અન્ય લોકોએ તેમના સામે જાતિ આધારિત ભેદભાવ અને દુર્વ્યવહાર કર્યો હતો. તેમણે એસસી/એસટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી, જેને આધારે પોલીસે FIR નોંધાવી હતી.
ત્યાર બાદ રામીરેડ્ડીએ કેસ રદ્દ કરવાની માગ સાથે હાઈ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. જસ્ટિસ એન. હરિનાથે FIR રદ કરતાં જણાવ્યું હતું કે આનંદ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યા બાદ અનુસૂચિત જાતિનો દરજ્જો ગુમાવી ચૂક્યા હતા, તેથી તેઓ એસસી/એસટી અધિનિયમ હેઠળ સુરક્ષા માગવાનો હક રાખતા નથી.
કોર્ટે એ પણ કહ્યું હતું કે આનંદ પાસે અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર હોવા છતાં તેમને કોઈ લાભ મળી શકશે નહીં, કારણ કે ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ પછી અનુસૂચિત જાતિનો દરજ્જો અમાન્ય બની જાય છે. ત્યાર બાદ આનંદે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.




