રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠામાં થયેલા રૂ. 125 કરોડના ખર્ચની SIT કરશે તપાસ

મુંબઈ: રામ મંદિર દાન ચોરીના કેસમાં આરોપીઓ સામે કાર્યવાહી કર્યા બાદ હવે SITએ તપાસનો વ્યાપ વધાર્યો છે. રામ મંદિરના વિવિધ કાર્યક્રમોમાં થયેલા અંદાજે 125 કરોડ રૂપિયાના ખર્ચના હિસાબ-કિતાબની પણ તપાસ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યાનુસાર રામ મંદિર દાન ચોરી કેસની SIT તપાસમાં ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા ખર્ચોની પણ સમીક્ષા થશે. ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા 125 કરોડ રૂપિયાના ખર્ચનો હિસાબ માગવામાં આવશે, જેમાં ટેન્ટ અને શામિયાણા પર થયેલો 36 કરોડ રૂપિયાનો ખર્ચ પણ સામેલ છે.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાથી લઈને મહાકુંભ સુધીના ખર્ચની તપાસ

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ, મહાકુંભની વ્યવસ્થાઓ અને ધ્વજારોહણ કાર્યક્રમોમાં થયેલા ખર્ચમાં સંભવિત ગેરરીતિઓ અંગે ઊભી થયેલી શંકાઓની તપાસ ચાલી રહી છે. છેલ્લાં લગભગ અઢી વર્ષ દરમિયાન ટ્રસ્ટની ઓડિટ રિપોર્ટો, ખર્ચની રસીદો અને અન્ય હિસાબ-કિતાબની વિગતવાર તપાસ કરવામાં આવશે. તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં થયેલો સૌથી મોટો ખર્ચ પણ સામેલ છે. ટેન્ટ સિટી ઊભી કરવાથી લઈને અન્ય તમામ આયોજન ખર્ચોની તપાસ કરવામાં આવશે.

રામ મંદિર ટ્રસ્ટની ઓડિટ રિપોર્ટ

ટ્રસ્ટના ઓડિટ રિપોર્ટ મુજબ ટેન્ટ અને શામિયાણા માટે લગભગ 36 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. અક્ષત પૂજન કાર્યક્રમમાં અંદાજે 31 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. પોસ્ટર, બેનર અને પ્રચાર-પ્રસાર માટે લગભગ 21 કરોડ રૂપિયા ખર્ચાયા હતા. તેવી જ રીતે સજાવટ માટે લગભગ 15 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. ભોજન અને પીણાંની વ્યવસ્થામાં લગભગ પાંચ કરોડ રૂપિયા ખર્ચાયા હતા. બાકીની રકમ પૂજા-પાઠ, રાગ સેવા, સાઉન્ડ સિસ્ટમ અને અન્ય વ્યવસ્થાઓ માટે ખર્ચવામાં આવી હતી.

એ ઉપરાંત, પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ વાર્ષિકોત્સવ માટે લગભગ 83 લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. મહાકુંભ દરમિયાન ભીડને ધ્યાનમાં રાખીને વધારાના 43 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ધ્વજારોહણ કાર્યક્રમમાં પણ અંદાજે 10 કરોડ રૂપિયા ખર્ચાયા હતા.

હવે રામ મંદિરના નામે નકલી રસીદ કૌભાંડનો ખુલાસો

હવે રામ મંદિરને નામે નકલી રસીદો કાપવાના કૌભાંડનો પણ ખુલાસો થયો છે. માહિતી મુજબ આરોપીઓ નકલી રસીદોને આધારે ચંદો આપનારાઓ પાસેથી પૈસા ઉઘરાવતા હતા.