અમદાવાદઃ બજેટના આંચકો પચાવી ભારતીય શેરબજારોએ સોમવારે છેલ્લા કલાકમાં શાનદાર રિકવરી જોવા મળી હતી. રિલાયન્સ, અદાણી પોર્ટ્સ, BEL, એમ એન્ડ એમ, ICICI બેન્ક અને HDFC બેન્કમાં લેવાલીથી બજારને મજબૂતી મળી હતી. વેચવાલીના એક દિવસ પછી મિડકેપ અને સ્મોલકેપ શેરો સહિત બજાર તેજી સાથે બંધ થયું હતું. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4.63 લાખ કરોડનો વધારો થયો હતો.
BSE સેન્સેક્સ 944 પોઇન્ટ 1.17 ટકાની તેજીની સાથે 81,666ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 263 પોઇન્ટ વધીને 25,000ની સપાટી વટાવીને 25,088 પર બંધ થયો હતો. ગઈ કાલે બજેટમાં સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)માં બે વર્ષ પછી વધારાના એલાનને પગલે શેરબજારોમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. જેનાથી સેન્સેક્સ અને નિફ્ટી 1.8 ટકાથી વધુ તૂટ્યા હતા. સામાન્ય બજેટમાં વિકાસ પર ધ્યાન કરવામાં આવતાં શેરબજારોમાં સુધારો થયો હતો.
BSE પર કુલ 4228 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 2037 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 2220 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 171 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 76 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 360 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 208 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 230 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.




