વિદ્યાર્થીઓને ગજનવીની ક્રૂરતા વધુ ઊંડાણપૂર્વક NCERTની પુસ્તિકામાં બતાવાશે

નવી દિલ્હીઃ મહેમૂદ ગજનવીએ ભારત પર કેટલા હુમલા કર્યા? કેટલીવાર ખજાના લૂટ્યા? કેટલાં મંદિરોને તોડ્યાં? NCERTએ આ તમામ મુદ્દાઓ પર આધારિત નવો પાઠ તૈયાર કર્યો છે, જેને હવે ધોરણ સાતના વિદ્યાર્થીઓ ભણશે. તાજેતરમાં રિલીઝ થયેલી NCERT ધોરણ સાતની સોશિયલ સાયન્સની નવી પુસ્તિકામાં ‘ગજનવીના હુમલા’ પરનો વિભાગ વધારે વિસ્તૃત બનાવવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓને મહેમૂદ ગજનવી વિશે વિગતવાર માહિતી મળી શકશે. પહેલી પુસ્તિકામાં તેનો માત્ર એક નાનો પરિચ્છેદ જ હતો.

મહેમૂદ ગજનવીએ ભારત પર કેટલા હુમલા કર્યા?

નવી પુસ્તિકામાં જણાવવામાં આવ્યું છે કે મહેમૂદ ગજનવીએ ભારત પર 17 વાર હુમલો કર્યા હતા. દરેક વખતે તે શહેરોને લૂંટી ખજાનો લઈને પાછો ચાલ્યો જતો હતો. આ પુસ્તિકામાં મથુરા, કન્નૌજ અને સોમનાથ પર કરેલાં હુમલા અને લૂંટફાટ વિશે વિગતવાર લખાયું છે.

ગજનવીએ મંદિરોને બનાવ્યાં નિશાન

ધોરણ સાતની નવી પુસ્તિકા કહે છે કે પોતાની શક્તિ વધારવા અને સંપત્તિ એકઠી કરવા માટે તેણે મંદિરોને નિશાન બનાવ્યાં. ‘ગજનવીના હુમલા’ નામનો આ નવો વિભાગ છ પાનાંનો છે, જેમાં ચિત્રો અને જાણકારીના બોક્સ સામેલ છે. તેમાં મથુરા, કન્નૌજ અને ગુજરાતના સોમનાથ મંદિર પર થયેલાં અભિયાનોની વિગતો આપવામાં આવી છે.

આ પુસ્તિકામાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે આજનું સોમનાથ મંદિર 1950માં ફરીથી બનાવવામાં આવ્યું હતું અને તેની ઉદઘાટન વિધિ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે કરી હતી – સાથે જ વિદ્યાર્થીઓને વિચાર કરાવવામાં આવ્યું છે કે તે માટે જનતાથી દાન શા માટે લેવામાં આવ્યું હશે.

હિંસા અને ધાર્મિક કારણો

આ પુસ્તિકા મહેમૂદના હુમલાઓનાં ક્રૂર પરિણામો બતાવવામાં અચકાતી નથી. તેમાં ‘હજારો સામાન્ય લોકોનો હત્યાકાંડ’ અને બાળકો સહિતના કેદીઓને પકડીને મધ્ય એશિયાનાં ગુલામ બજારોમાં વેચી દેવાના ઉલ્લેખ છે.