નાંદેડમાં સુખબીર સિંહ બાદલ પર નિહંગ શીખોએ કર્યો હુમલો, હોસ્પિટલમાં દાખલ

નાંદેડઃ શિરોમણિ અકાલી દળ (બાદલ)ના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ પર ગુરુવારે નિહંગ શીખોએ હુમલો કર્યો હતો. મહારાષ્ટ્રના નાંદેડ સ્થિત માતા સાહિબ ગુરુદ્વારામાં આ હુમલો થયો હતો. બાદલના હાથમાં ઈજા થઈ છે અને તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુખબીર સિંહ બાદલ ગુરુદ્વારાની અંદર જવા માટે કારમાંથી નીચે ઊતર્યા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે તેમની સાથે રહેલા સુરક્ષા કર્મચારીઓએ હુમલાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. બાદલ સાથે રહેલા એક પોલીસ કર્મચારીને પણ ઈજા થઈ છે.

પત્ની હરસિમરત કૌર પણ બાદલ સાથે હતાં

નાંદેડ પોલીસે જણાવ્યું કે સુખબીર સિંહ બાદલ પર તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો. એ દરમિયાન તેમની પત્ની અને પંજાબના બઠિંડા લોકસભા સાંસદ હરિસમરત કૌર પણ તેમની સાથે હતાં. સુખબીર સિંહ બાદલને Z+ સુરક્ષા આપવામાં આવી છે. હાલ તેમની સ્થિતિ ખતરાથી બહાર છે અને તેઓ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે.

પ્રકાશ સિંહ બાદલના પુત્ર છે સુખબીર

આ ઘટના બાદ હુમલાખોરને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. નાંદેડમાં ઐતિહાસિક માતા સાહિબ ગુરુદ્વારા આવેલું છે, જ્યાં પંજાબ સહિત દેશભરમાંથી શીખ સમુદાયના લોકો દર્શન કરવા આવે છે.

સુખબીર સિંહ બાદલ પંજાબના નાયબ મુખ્ય મંત્રી રહી ચૂક્યા છે. તેઓ પંજાબના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી પ્રકાશ સિંહ બાદલના પુત્ર છે.

ફડણવીસે રિપોર્ટ માંગી

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે નાંદેડના પોલીસ અધિક્ષક પાસેથી રિપોર્ટ માગ્યો છે. મુખ્ય મંત્રીએ આદેશ આપ્યો છે કે બાદલ પર હુમલો શા માટે થયો તે અંગે પોલીસ તપાસ કરીને રિપોર્ટ રજૂ કરે.

2024માં પણ બાદલ પર થયો હતો હુમલો

સુખબીર સિંહ બાદલ પર વર્ષ 2024માં અમૃતસરના સુવર્ણ મંદિરની અંદર પણ હુમલો થયો હતો. આ હુમલો કટ્ટરપંથી શીખ સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના પૂર્વ સભ્ય નારાયણ સિંહ ચૌડાએ કર્યો હતો.