નવી દિલ્હીઃ વિશ્વના વૈજ્ઞાનિકો આ વર્ષે સંભવિત ‘સુપર અલ નિનો’ને લઈને ચિંતિત છે. શરૂઆતના સંકેતો દર્શાવે છે કે આ હવામાન સંબંધિત ઘટના અપેક્ષા કરતાં વધુ ઝડપથી વિકસી રહી છે અને છેલ્લા ઘણા દાયકાઓમાંના સૌથી શક્તિશાળી અલ નિનોમાં બદલાઈ શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો સુપર અલ નીનો બનશે, તો તેના અસર દુનિયા પર પડી શકે છે. દેશમાં નબળા ચોમાસા, દુષ્કાળ, ભયંકર ગરમી અને ખેતી પર મોટી અસર જોવા મળી શકે છે.
આખરે અલ નિનો શું છે?
અલ નિનો એક કુદરતી જલવાયુ ઘટના છે. તે ત્યારે બને છે જ્યારે પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વીય ભાગનું સમુદ્રી પાણી સામાન્ય કરતાં વધુ ગરમ થઈ જાય છે. સમુદ્રના તાપમાનમાં આવતો આ ફેરફાર સમગ્ર દુનિયાની પવનો અને હવામાનની પેટર્નને અસર કરે છે. તેને કારણે અનેક દેશોમાં હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળે છે. ક્યાંક દુષ્કાળ પડે છે તો ક્યાંક પૂર અને ભારે વરસાદની સ્થિતિ સર્જાય છે.
વૈજ્ઞાનિકોએ ચેતવણી કેમ વધારી?
અમેરિકાની NOAA (National Oceanic and Atmospheric Administration)એ ચેતવણી આપી છે કે 2026માં અલ નિનો ખૂબ જ મજબૂત બની શકે છે. NOAA અનુસાર પ્રશાંત મહાસાગરમાં અલ નિનોની સ્થિતિ ઝડપથી વિકસી રહી છે. ઘણા હવામાન મોડેલ દર્શાવે છે કે આ 1982-83, 1997-98 અને 2015-16 જેવા મોટા અલ નિનોની બરાબરી કરી શકે છે અથવા તેનાથી પણ વધુ શક્તિશાળી બની શકે છે.
ભારત માટે મોટો ખતરો કેમ?
ભારતની સૌથી મોટી ચિંતા ચોમાસાને લઈને છે. દેશમાં લગભગ 70 ટકા વરસાદ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે આવતા દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર આધારિત છે. જ્યારે અલ નિનો મજબૂત બને છે, ત્યારે ચોમાસાની પવનો નબળી પડી જાય છે. તેને કારણે ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદ ઓછો પડી શકે છે. જોકે કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
કયાં રાજ્યો પર સૌથી વધુ અસર પડી શકે?
મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઓડિશા, ગુજરાત અને રાજસ્થાન જેવાં રાજ્યો અલ નિનો દરમિયાન સૌથી વધુ દુષ્કાળની ચપેટમાં આવ્યા છે. બીજી તરફ કેટલાક દરિયાકાંઠાનાં રાજ્યોમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.




