નવી દિલ્હીઃ ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં 32 વર્ષની એક મહિલા અને તેના નવજાત બાળકને કથિત રીતે ‘ચૂડેલ’ કહીને આગ લગાવી દેવામાં આવી હતી, એમ પોલીસે માહિતી આપી હતી. આ ઘટના મંગળવારે મોડી રાત્રે કુમારડુંગી થાણા વિસ્તારના એક ગામમાં બની હતી. પોલીસે જણાવ્યું હતું કે આ મામલે ચાર લોકોને ધરપકડ કરવામાં આવી છે.

આ હુમલામાં મહિલાનો પતિ પણ ઘાયલ થયો હતો, પરંતુ તે કોઈ રીતે ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યો હતો. તેણે રાત પોતાના એક સગાના ઘરે વિતાવી અને બુધવારે સવારે થાણે જઈને ફરિયાદ નોંધાવી હતી.
તેની ફરિયાદ મુજબ મધરાતે કેટલાક લોકોના અવાજથી તેની ઊંઘ તૂટી. તેઓ તેને અને તેની પત્નીને બહાર બોલાવી રહ્યા હતા. જ્યારે તે બહાર આવ્યો ત્યારે તેણે જોયું કે લગભગ એક ડઝન લોકો ભેગા થયા હતા અને તેની પત્ની પર જાદુટોણા કરવાનો આરોપ લગાવી રહ્યા હતા.
તેની ફરિયાદ અનુસાર હોબાળાની વચ્ચે ભીડે તેની પત્ની પર, જેની ગોદમાં તેમનું નવજાત બાળક હતું, કેરોસીન રેડીને આગ લગાવી દીધી. પોલીસે જણાવ્યું હતું કે બંનેનાં સ્થળ પર જ મોત થયાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે પતિ દ્વારા ફરિયાદ નોંધાયા બાદ તેને કુમારડુંગીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદમાં નામ દર્શાવેલા ચાર પુરુષોની અમે ધરપકડ કરી છે. માત્ર અંધશ્રદ્ધાને આધારે આ ગુનામાં ભાગ લેનારી મહિલાઓની ઓળખ કરવાની કોશિશ ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ પતિના એક સગા, જે એ જ ગામમાં રહેતા હતા, તેમનું મંગળવારે લાંબી બીમારી બાદ અવસાન થયું હતું અને તેના માટે તેમણે તેની પત્નીને જવાબદાર ઠેરવી હતી. પોલીસે વધુમાં જણાવ્યું કે મામલો નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.




