કોલકાતાઃ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયામાં જોડાયેલા ન્યાયિક અધિકારીઓ પર થયેલા પથ્થરમારો અને લાઠી હુમલાની ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટે સ્વયં માહિતી લીધી છે. કોર્ટે ચૂંટણી પંચને કડક આદેશ આપ્યો છે કે ન્યાયિક અધિકારીઓની સુરક્ષા માટે કેન્દ્રીય દળોની તહેનાતી કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે SIR દરમિયાન બંગાળની મતદાર યાદીમાંથી બહાર કરાયેલા અંદાજે 50 લાખ લોકોની વાંધાઓ અને દાવાઓની તપાસ માટે જિલ્લા અને સેશન જજોને નિયુક્ત કરવામાં આવ્યા હતા. બુધવારે પ્રદર્શનકારોએ આ અધિકારીઓ પર હુમલો કર્યો હતો, જેને લઈને કોર્ટે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચૌલીની બેન્ચે મામલે માહિતી લીધી. પ્રાપ્ત માહિતી મુજબ બપોરથી રાત્રિ સુધી પ્રદર્શનકારોએ ન્યાયિક અધિકારીઓને બંધક બનાવી રાખ્યા હતા અને રાત્રે તેઓ બહાર નીકળ્યા ત્યારે તેમની ગાડીઓ પર પથ્થર અને લાઠીઓથી હુમલો કરવામાં આવ્યો હતો.
બેન્ચે મુખ્ય સચિવ, ડીજીપી, ડીએમ અને એસપીને કારણ દર્શાવો નોટિસ જારી કરીને પૂછ્યું હતું કે તેમના વિરુદ્ધ કાર્યવાહી કેમ ન કરવામાં આવે. આ અધિકારીઓને 6 એપ્રિલે ઓનલાઈન સુનાવણીમાં હાજર રહેવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ઘટનાની નિષ્પક્ષ એજન્સી દ્વારા તપાસ કરાવવા જણાવ્યું છે. આ તપાસ CBI અથવા NIA દ્વારા થઈ શકે છે અને તપાસ અહેવાલ સીધો સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવાનો રહેશે.
આ સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે પશ્ચિમ બંગાળના એડવોકેટ જનરલને ફટકાર લગાવતાં કહ્યું હતું કે દુર્ભાગ્યે તમારા રાજ્યમાં દરેક અધિકારી રાજકીય ભાષા બોલે છે. શું તમને લાગે છે કે અમને ખબર નથી કે ઉપદ્રવી કોણ હતા? હું રાત્રે બે વાગ્યા સુધી સ્થિતિ અંગે માહિતી લેતો હતો.
તેમણે જણાવ્યું હતું કે માલદાના ડીએમ અને એસપી સ્થળ પર પહોંચ્યા નહોતા. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે ડીજીપી સાથે સંપર્ક કર્યા બાદ જ મોડી રાત્રે ન્યાયિક અધિકારીઓ બહાર આવી શક્યા હતા, છતાં તેમના પર પથ્થરમારો થયો હતો. તેમણે કહ્યું હતું કે આ માત્ર ન્યાયિક અધિકારીઓને પરેશાન કરવાનો મુદ્દો નથી, પરંતુ સુપ્રીમ કોર્ટના અધિકારને પડકારવા જેવું છે.




