સુરતમાં ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે અદ્યતન ‘જમનાબા વિદ્યાર્થી ભવન’ શરૂ

સુરત: સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ (Saurastra Patel Seva Samaj) દ્વારા વાલક પાટિયા ખાતે અદ્યતન ‘જમનાબા વિદ્યાર્થી ભવન’નું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ૩૧ ફૂટ ઊંચી અને ૯ ટન વજન ધરાવતી સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel) ની પંચધાતુની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.મણીબેન ચોક ખાતે નિર્માણ પામેલા આ ભવ્ય સંકુલમાં ૧૦૦૦ વિદ્યાર્થીઓ (students) માટે નિવાસ અને અભ્યાસની સુવિધા સાથે AI રિસર્ચ લેબ, આધુનિક લાઈબ્રેરી અને અદ્યતન શિક્ષણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા (Mansukh Mandviya) અને રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા (Govindbhai Dholakiya) ના હસ્તે સ્વ. કેશુભાઈ પટેલ ઓડિટોરિયમનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પાટીદાર સમાજે ખેતીથી લઈને ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્ય, પંચાયત અને પાર્લામેન્ટ સુધી દરેક ક્ષેત્રમાં પોતાની મહેનતથી આગવી ઓળખ ઊભી કરી છે. સુરતને ડાયમંડ, ટેક્સ્ટાઈલ અને કન્સ્ટ્રક્શન હબ બનાવવામાં પણ પાટીદાર સાહસિકોનો મોટો ફાળો રહ્યો છે. શિક્ષણને પ્રાથમિકતા આપનાર સમાજ હંમેશાં પ્રગતિના નવા શિખરો સર કરે છે એમ તેમણે ઉમેર્યું હતું.તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પનો ઉલ્લેખ કરી પાણી, વીજળી, પેટ્રોલ અને સોનાના વિવેકપૂર્ણ ઉપયોગને જીવનશૈલી બનાવવાનો અનુરોધ કર્યો હતો.હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી સુરતમાં ભણવા આવતા સામાન્ય પરિવારોના વિદ્યાર્થીઓ માટે જમનાબા ભવન આશીર્વાદરૂપ બનશે. અહીં વિદ્યાર્થીઓને ઘર જેવી સંસ્કારસભર વ્યવસ્થા મળશે. તેમણે મોબાઈલના વધતા પ્રભાવ વચ્ચે દાદા-દાદીઓને બાળકોને મેદાન અને મંદિર તરફ દોરી જવાની અપીલ પણ કરી હતી.મહિલા સુરક્ષાના મુદ્દે તેમણે કહ્યું કે કોઈ દીકરી મુશ્કેલીમાં ફસાય ત્યારે સમાજે ટીકા કરતાં તેને હિંમત અને સહયોગ આપવો જોઈએ. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી માટે સમાજે પોલીસ અને સરકારને સાથ આપવો જરૂરી છે.મનસુખ માંડવીયાએ જમનાબા વિદ્યાર્થી ભવનને સંસ્કાર અને જ્ઞાનનું કેન્દ્ર ગણાવી જણાવ્યું કે જ્ઞાનશક્તિ અને સમાજશક્તિના સમન્વયથી સમાજના ઉત્થાનનું લક્ષ્ય સાકાર થઈ રહ્યું છે.કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી, રાજ્ય મંત્રી કૌશિક વેકરિયા, પ્રફુલ પાનશેરિયા સહિત અનેક મહાનુભાવો, ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(અરવિંદ ગોંડલિયા – સુરત)