બીજી T20 મેચ પહેલા સંજુ સેમસન ઈજાગ્રસ્ત થતા ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં

IND Vs SL: શ્રીલંકા સામે ગુરુવારે રમાનારી ત્રણ T20 શ્રેણીની બીજી મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન સંજુ સેમસન ઈજાગ્રસ્ત થયો છે. સંજુ સેમસનને ઘૂંટણમાં ઈજા થઈ છે. સંજુ સેમસનની ઈજા કેટલી ગંભીર છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ એ નિશ્ચિત છે કે સંજુ સેમસન બીજી ટી20 મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ નહીં હોય. બીસીસીઆઈએ સંજુ સેમસનના સ્થાનની જાહેરાત કરી નથી.

હજુ સુધી બીસીસીઆઈ દ્વારા સંજુ સેમસનની ઈજાને લઈને કોઈ અપડેટ કરવામાં આવ્યું નથી. અહેવાલો અનુસાર, સંજુ સેમસનને તેના ઘૂંટણમાં ઈજા થઈ છે અને તે ટીમ સાથે પુણે પહોંચ્યો નથી. પુણે ન પહોંચવાના કારણે એ સ્પષ્ટ થઈ ગયું છે કે સંજુ સેમસન બીજી ટી20 મેચમાં બહાર થઈ જશે. સંજુ સેમસનની જગ્યાએ બેન્ચમાંથી કોઈપણ એક ખેલાડીને પ્લેઈંગ 11માં સામેલ કરી શકાય છે.

ટીમ ઈન્ડિયા પાસે સંજુ સેમસનના વિકલ્પ તરીકે રાહુલ ત્રિપાઠી અને ઋતુરાજ ગાયકવાડ છે. રાહુલ ત્રિપાઠીને મિડલ ઓર્ડરમાં રમવાનો અનુભવ હોવાથી તે ચોથા નંબરે રમવાની શક્યતા વધારે છે. વિકેટકીપિંગની જવાબદારી ઈશાન કિશન પાસે રહેશે. કિશનને આ શ્રેણી માટે મુખ્ય વિકેટ કીપર બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

સંજુ સેમસન માટે મોટો ઝટકો

સંજુ સેમસનની ઈજા તેના માટે પણ કોઈ મોટા ઝટકાથી ઓછી નથી. રિષભ પંતની ગેરહાજરીમાં સંજુ સેમસન પાસે આ શ્રેણીમાં પોતાને સાબિત કરવાની મહત્વની તક હતી. પરંતુ સંજુ સેમસન ઈજાગ્રસ્ત છે. સંજુ ત્રીજી અને છેલ્લી ટી20 મેચ રમવા માટે ઉપલબ્ધ થશે કે કેમ તે પણ જાણી શકાયું નથી. જો સંજુ તે મેચમાં પણ નહી રમે તો તેનું ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવાનું સપનું ફરી એકવાર અધુરુ રહી શકે છે.