સુરતઃ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવનો પ્રભાવ દેશના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. એલપીજીની અછત અને ઊર્જા સંકટને કારણે ઘણી રેસ્ટોરાં અને ઢાબા બંધ થઈ ગયા છે તો અનેક ઉદ્યોગો પર પણ તેની નકારાત્મક અસર પડી છે. સુરતના કપડા ઉદ્યોગ પર પણ તેની ગંભીર અસર જોવા મળી છે. મજૂરોના સ્થળાંતર અને કાચા માલની અછતને કારણે ઉત્પાદન અડધું થઈ ગયું છે.
દેશમાં ટેક્સટાઇલ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર ગણાતું સુરત પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે બંને તરફથી દબાણમાં છે. કાચા માલના વધતા ભાવને કારણે ઉત્પાદન અને માગ બંને પ્રભાવિત થયા છે, જ્યારે એલપીજી સંકટને કારણે લગભગ 40 ટકા પ્રવાસી મજૂરો પોતાના ગામ પરત જવા મજબૂર બન્યા છે. કૃત્રિમ રેસા, ખાસ કરીને પોલિયેસ્ટર માટે વપરાતું સૂત બનાવવામાં પ્લાસ્ટિકના દાણા (પેલેટ્સ) ઉપયોગમાં લેવાય છે, જે પેટ્રોકેમિકલ ઉદ્યોગનું પેટા ઉત્પાદન છે. આ કાચા તેલ અને કુદરતી ગેસની પ્રક્રિયા દ્વારા મળે છે. યુદ્ધને કારણે કાચા તેલના ભાવ વધતા આ કાચા માલના ભાવ પણ વધી ગયા છે.
કારખાનાઓમાં કપડાંનું ઉત્પાદન અડધું થયું
આ પરિસ્થિતિને કારણે કારખાનાંઓમાં રોજ સરેરાશ લગભગ છ કરોડ મીટર કપડાનું ઉત્પાદન થતું હતું, જે હવે અડધું રહી ગયું છે. બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને ઓડિશાથી આવતાં પ્રવાસી મજૂરોની સંખ્યામાં પણ અંદાજે આઠ લાખની ઘટાડો નોંધાયો છે.
સુરતના સૂત વેપારી અશોક વૈષ્ણવે જણાવ્યું કે એક કિલો સૂત બનાવવા માટે એક કિલો પેલેટ્સ જરૂરી હોય છે, જેમાંથી કપડું બને છે. તેમણે જણાવ્યું હતું કે યુદ્ધ પહેલાં સૂતનો ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો હતો, જે હવે વધીને 135–140 રૂપિયા પ્રતિ કિલો થયો છે. એ સાથે જ કાચા માલની અછત પણ છે. અમારો વ્યવસાય લગભગ 35–40 ટકા ઘટી ગયો છે.
સુરતમાં લગભગ 40 ટકા મજૂરો ગામ પરત
સુરતમાં અંદાજે 6 લાખ વણાટ એકમો, લગભગ 2 લાખ કઢાઈ એકમો અને આશરે 400 રંગાઈ-છપાઈ એકમો કાર્યરત છે. ઉત્પાદનની દરેક કડી પર અસર પડી રહી છે. દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસિંગ એસોસિયેશનના અધ્યક્ષ જીતુ વખારિયાના જણાવ્યા અનુસાર કપડા ઉદ્યોગમાં લગભગ 22 લાખ લોકો કામ કરે છે, જેમાંથી 40 ટકા લોકો ગામ પરત ફરી ગયા છે. સુરતનું ઉધના રેલવે સ્ટેશન પોતાના વતન જતાં કપડા ઉદ્યોગના મજૂરોની ભીડથી ભરાઈ ગયું છે.




