નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં આપેલા અભિભાષણ સાથે સંસદનું બજેટ સત્ર શરૂ થયું છે. હવે પહેલી ફેબ્રુઆરીએ નાણાંમંત્રી નિર્મલા સીતારામન બજેટ રજૂ કરશે. આ તેમનું સતત 9મું બજેટ હશે, જ્યારે મોદી સરકાર 3.0નું આ ત્રીજું પૂર્ણ બજેટ હશે. બજેટ સત્ર પહેલાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે.
ઇકોનોમિક સર્વે શું છે?
ઇકોનોમિક સર્વે અથવા આર્થિક સર્વેક્ષણ નાણાં મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવતો વાર્ષિક અહેવાલ છે. તેમાં ગયા વર્ષ દરમિયાન દેશની GDP, વિકાસ (ગ્રોથ)ની સ્થિતિ કેવી રહી તેની માહિતી આપવામાં આવે છે. આ ઉપરાંત તેમાં મોંઘવારી, ઉદ્યોગો અને અન્ય નાણાકીય વિગતો પણ સામેલ હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો ઇકોનોમિક સર્વે દેશની નાણાકીય તંદુરસ્તીની સંપૂર્ણ તસવીર રજૂ કરે છે.
મોંઘવારીના આંકડાઓ પર રહેશે નજર
મોંઘવારી એ એવો મહત્વનો આંકડો છે જેને ખૂબ ધ્યાનથી જોવામાં આવે છે, ખાસ કરીને એ બાબત કે સર્વે કિંમતોના દબાણને કેવી રીતે આંકે છે. તેનો અંદાજ ઘણો મહત્વનો હોય છે. મોંઘવારી ઘટતી હોવાનું મૂલ્યાંકન વિકાસને ટેકો આપતી નીતિઓ માટે જગ્યા બનાવે છે, જ્યારે સાવચેતીભર્યું મૂલ્યાંકન રાજકોષીય શિસ્ત અને સપ્લાય-સાઇડ હસ્તક્ષેપની જરૂરિયાતને મજબૂત બનાવે છે.
બે ભાગોમાં રજૂ થાય છે ઇકોનોમિક સર્વે
ઇકોનોમિક સર્વેને બે ભાગોમાં રજૂ કરવામાં આવે છે. પહેલો ભાગ દેશની વર્તમાન સ્થિતિ દર્શાવે છે, જ્યારે બીજો ભાગ વિવિધ ક્ષેત્રોના મહત્વપૂર્ણ આંકડાઓ રજૂ કરે છે.
આ વખતે ત્રણ દિવસ પહેલાં રજૂ થઈ રહ્યો છે ઇકોનોમિક સર્વે
સામાન્ય રીતે દર વર્ષે ઇકોનોમિક સર્વે બજેટના એક દિવસ પહેલાં રજૂ થાય છે, પરંતુ આ વર્ષે તેને ત્રણ દિવસ પહેલાં એટલે કે 29 જાન્યુઆરીએ જ રજૂ કરવામાં આવી રહ્યો છે. આર્થિક સર્વેક્ષણ 2026 આજે સવારે 11 વાગ્યે રજૂ થશે. સંસદનાં બંને ગૃહોમાં ભારતના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) તેને રજૂ કરશે.


