કલકત્તાઃ હાઈકોર્ટે ગુરુવારે પશ્ચિમ બંગાળ પોલીસને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનરજી વિરુદ્ધ 31 જુલાઈ સુધી કોઈ પણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી ન કરવા આદેશ આપ્યો છે. આ સ્ટે ગૃહ મંત્રી અમિત શાહ વિરુદ્ધ ચૂંટણી સભા દરમિયાન કરવામાં આવેલી તેમની ટિપ્પણીઓ સંબંધિત નોંધાયેલી FIR મામલે આપવામાં આવી છે. જસ્ટિસ સૌગતા ભટ્ટાચાર્યે કહ્યું હતું કે આ વચગાળા સુરક્ષા એ શરતે આપવામાં આવી રહી છે કે અભિષેક બેનર્જી પોલીસ તપાસમાં સહકાર આપશે.
કોર્ટે આદેશ આપતાં કહ્યું હતું કે આ તબક્કે કોર્ટ પોલીસને નિર્દેશ આપે છે કે તે અરજદાર (બેનર્જી) સામે 31 જુલાઈ સુધી કોઈ પણ દંડાત્મક કાર્યવાહી ન કરે. જોકે અરજદારે તપાસમાં સહકાર આપવો પડશે. જો અરજદાર સહકાર નહીં આપે તો સંબંધિત રાજ્ય પ્રતિવાદીઓને કોર્ટનો સંપર્ક કરવાની છૂટ રહેશે.
અભિષેક બેનર્જી વિદેશ નહીં જાય – હાઈકોર્ટ
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે અભિષેક બેનર્જી કોર્ટની મંજૂરી વગર દેશ છોડીને જઈ શકશે નહીં. કોર્ટે વધુમાં કહ્યું હતું કે અરજદારે (પોલીસ) નોટિસોનું પાલન કરવું પડશે. અરજદારને ઓછામાં ઓછા 48 કલાકનો સમય આપીને નોટિસ આપવામાં આવશે. તાજેતરમાં પૂર્ણ થયેલી બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલાં ચૂંટણી સભાઓમાં કરવામાં આવેલી ટિપ્પણીઓને લઈને બેનર્જી સામે નોંધાયેલા ફોજદારી કેસને રદ કરવાની અરજી પર કોર્ટે આ વચગાળાનો આદેશ આપ્યો હતો.
ફરિયાદકર્તાએ બેનર્જી પર વિરોધી પક્ષના કાર્યકરોને નિશાન બનાવી ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો અને ગૃહ મંત્રી અમિત શાહને ધમકી આપવાનો આરોપ મૂક્યો હતો. અભિષેક બેનર્જીએ કહ્યું હતું કે હું જોઈશ કે ચોથી મેએ તેમને બચાવવા કોણ આવે છે. હું જોઈશ કે દિલ્હીમાંથી કયો ગોડફાધર (કથિત રીતે અમિત શાહનો ઉલ્લેખ કરતાં) તેમની મદદ માટે આવે છે.
કોર્ટે બેનર્જીની ટિપ્પણીઓની આકરી ટીકા કરી
કોર્ટે વકીલને સવાલ કરતાં કહ્યું હતું કે આવાં નિવેદનો શા માટે આપવામાં આવ્યાં? ચૂંટણી પહેલાં આવાં બેદરકારીભર્યાં નિવેદનો શા માટે આપવામાં આવ્યાં? આ રાજ્યનો ઈતિહાસ કાળો રહ્યો છે. ચૂંટણી બાદ હિંસા થઈ હતી. મિડિયામાં પણ દરેક જગ્યાએ આ બતાવવામાં આવ્યું હતું. શું આ અરજદાર (અભિષેક બેનર્જી)ના રાજકીય પક્ષના મહાસચિવ તરીકેના પદને અનુરૂપ છે?




