લોકસભામાં ઓમ બિરલા સામેના પ્રસ્તાવ પર આજે થશે નિર્ણય

નવ દિલ્હીઃ સંસદના બજેટ સત્રના બીજા તબક્કાના પ્રથમ દિવસે સોમવારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પદ પરથી હટાવવા સંબંધિત પ્રસ્તાવ રજૂ કરવા માટે વિરોધ પક્ષના સભ્યો દ્વારા આપવામાં આવેલી નોટિસ પર વિચાર કરશે. સંસદના હાલના બજેટ સત્રનો બીજો તબક્કો આજે શરૂ થઈ રહ્યો છે અને પ્રથમ દિવસની કાર્યવાહી દરમિયાન જ આ મુદ્દો સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે.

તો પ્રસ્તાવ રજૂ કરી શકાશે નહીં

પીઠાસીન સભાપતિ દ્વારા બોલાવવામાં આવે ત્યારે સંસદના ઓછામાં ઓછા 50 સભ્યોને નોટિસના સમર્થનમાં ઊભા રહેવું પડશે. ત્યાર બાદ આ પ્રસ્તાવને સંસદના વિચાર માટે સ્વીકારાયેલો માનવામાં આવશે. ત્યાર પછી પ્રસ્તાવ પર ચર્ચા અને મતદાન થશે. જો 50 સભ્યો સમર્થનમાં ઊભા નહીં રહે તો પ્રસ્તાવ રજૂ કરી શકાશે નહીં.

સત્તારૂઢ ભાજપ  અને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ બંનેએ પોતાના લોકસભા સાંસદોને આ મુદ્દા પર ચર્ચા વખતે સંસદમાં હાજર રહેવા માટે વ્હિપ (Whip) જાહેર કર્યો છે. સંસદમાં સંખ્યાબળ સરકારના પક્ષમાં વધુ હોવાથી માનવામાં આવે છે કે આ પ્રસ્તાવ પરાજિત થવાની સંભાવના વધારે છે.

ઓમ બિરલાને અધ્યક્ષ પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ લાવવા માટે કોંગ્રેસના ત્રણ સાંસદ — મોહમ્મદ જાવેદ, કે. સુરેશ અને મલ્લુ રવિ — સદનની મંજૂરી માગશે. ઓછામાં ઓછા 50 સભ્યોના સમર્થન પછી તેઓ આ પ્રસ્તાવને સદનમાં ચર્ચા અને મતદાન માટે મૂકવામાં આવશે.

વિરોધ પક્ષના આરોપ

શિવસેના (UBT)ના નેતા અરવિંદ સાવંતે જણાવ્યું હતું કે લોકસભા સ્પીકર ઓમ બિરલા બંધારણથી ઉપર નથી. તેમણે કહ્યું હતું કે સ્પીકર સામે લાવવામાં આવતું આ નો-કોન્ફિડન્સ મોશન સત્તાના કથિત દુરુપયોગ સામે છે. સાવંતે જણાવ્યું હતું કે વ્યક્તિગત રીતે ઓમ બિરલાનું સન્માન કરી શકાય છે અને તેમની સત્તાઓ સમજાય છે, પરંતુ તેઓ બંધારણથી ઉપર નથી. આ પ્રસ્તાવ સત્તાના દુરુપયોગ સામે છે.