નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલુ યુદ્ધના આર્થિક પ્રભાવને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર મોટા પગલાની તૈયારીમાં છે. નાણાં મંત્રાલય લગભગ રૂ. બે લાખ કરોડની ક્રેડિટ સપોર્ટ યોજના પર કામ કરી રહ્યું છે. આ યોજનાનો હેતુ મિડલ ઈસ્ટ સંકટથી પ્રભાવિત સેક્ટરોને રાહત આપવાનો છે. આ પ્રસ્તાવિત યોજના કોરોના કાળ દરમિયાન અમલમાં આવેલી ‘ઇમર્જન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS)’ની તર્જ પર તૈયાર કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ નાણાં મંત્રાલય હેઠળનું ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસિઝ આ સ્કીમને અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે અને આગામી 15 દિવસમાં તેને અમલમાં મૂકવામાં આવી શકે છે.
MSME સેક્ટર પર ખાસ ધ્યાન
રિપોર્ટમાં જણાવાયું છે કે આ યોજનાનું મુખ્ય ફોકસ માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) સેક્ટર પર રહેશે, જે વૈશ્વિક અનિશ્ચિતતા અને સપ્લાય ચેઇનની અડચણોથી સૌથી વધુ પ્રભાવિત થયો છે.
આ સ્કીમ હેઠળ ગેરંટી વગરની લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેને સરકારની ગેરંટીનો આધાર મળશે. આથી નાના વ્યવસાયોને સરળતાથી ફંડિંગ મળશે અને લિક્વિડિટી સંબંધિત સમસ્યામાં રાહત મળશે.
હાલ સિસ્ટમ પર મોટું દબાણ નહીં
અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ અર્થતંત્રમાં કોઈ તાત્કાલિક સિસ્ટમેટિક દબાણ નથી. પરંતુ પરિસ્થિતિ બગડવાની શક્યતા ધ્યાનમાં રાખીને સરકાર પહેલેથી તૈયારી કરી રહી છે. આ પગલાને “પ્રિકોશનરી કુશન” તરીકે જોવામાં આવી રહ્યું છે, જેથી જરૂર પડે ત્યારે પ્રભાવિત સેક્ટરોને તરત સહારો આપી શકાય.
યુદ્ધ ખતમ થયા પછી પણ અસર રહેશે
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે ભલે આવનારા સમયમાં ભૂ-રાજકીય તણાવ ઓછો થઈ જાય, તેમ છતાં પ્રભાવિત સેક્ટરોમાં સંપૂર્ણ પુનઃપ્રાપ્તિ થવામાં સમય લાગી શકે છે. સપ્લાય ચેઇનમાં વિક્ષેપ અને માગમાં અનિશ્ચિતતા તેનાં મુખ્ય કારણો રહેશે.
કોરોના મોડલ પર વિશ્વાસ
કોરોના-19 મહામારી દરમિયાન અમલમાં આવેલી ECLGS યોજનાએ લાખો વ્યવસાયોને રાહત આપી હતી અને MSME સેક્ટરને સ્થિર રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હવે સરકાર એ જ મોડલ અપનાવી વર્તમાન સંકટનો સામનો કરવાની વ્યૂહરચના બનાવી રહી છે, જેથી આર્થિક પ્રવૃત્તિઓ પર ઓછામાં ઓછો પ્રભાવ પડે.




