PMને ઝાલમૂડી ખવડાવનાર દુકાનદારને જાનથી મારવાની ધમકી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે દુકાનમાંથી ઝાલમૂડી ખરીદી હતી, તે દુકાનના માલિકને પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ઝારગ્રામમાં ઝાલમૂડી વેચતા વિક્રમ સાઓએ જણાવ્યું હતું કે તેને પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ધમકીભરા ફોન આવી રહ્યા છે. તેણે જણાવ્યું હતું કે પોલીસ પ્રશાસનને માહિતી આપ્યા બાદ તેની દુકાન પર બે સુરક્ષા કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. તેણે કહ્યું હતું કે પાકિસ્તાનમાંથી એક વિડિયો કોલ આવ્યો હતો, જેમાં એક જૂથે તેને અનેક પ્રકારનાં હથિયારો બતાવીને કહ્યું હતું કે તેને બોમ્બથી ઉડાવી દેશે. તેણે જણાવ્યું હતું કે ત્યાર બાદ તે ડરી ગયો અને ફોન કાપી દીધો હતો.

ઝાલમૂડી વેચનાર વિક્રમ સાઓએ વધુમાં જણાવ્યું હતું કે તેને બાંગ્લાદેશમાંથી પણ એક કોલ આવ્યો હતો. આ કોલમાં પહેલા તેને સલામ વાલેકુમ કહેવામાં આવ્યું અને પછી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તેણે જણાવ્યું હતું કે એક વોટ્સએપ મેસેજમાં લખવામાં આવ્યું હતું, તારી દુકાન અમારા નિશાને છે, બોમ્બથી ઉડાવી દઈશું.

 પીએમના દુકાને આવવાનું કારણ ગણાવ્યું

તેણે દાવો કર્યો હતો કે ચૂંટણીપ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેની દુકાને ઝાલમૂડી ખરીદવા આવ્યા હતા, તેથી જ તેને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. તેણે જણાવ્યું કે ડરને કારણે હવે તે અજાણ્યા મોબાઇલ નંબરો પરથી આવતા કોલ રિસીવ કરતો નથી. તેણે કહ્યું હતું કે ધમકીભર્યા કોલ આવ્યા બાદથી તે ખૂબ ડરી ગયો છે. તેણે કહ્યું હતું કે ખૂબ ટેન્શન છે, રાત્રે સાઇકલથી ઘરે જતાં ડર લાગે છે કે કોઈ કંઈ કરી ન દે. હું એકલો છું અને પરિવાર ચલાવું છું.

વડા પ્રધાને ઝાલમૂડી ખાધી

19 એપ્રિલે પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના ઝારગ્રામમાં ચૂંટણીપ્રચાર દરમિયાન અચાનક એક સામાન્ય ઝાલમૂડીની દુકાન પર રોકાયા હતા. દુકાને પહોંચ્યા બાદ પીએમ મોદીએ દુકાનદારને પૂછ્યું, ભાઈ, ઝાલમૂડી ખવડાવો, કેટલાની છે? સારી રીતે બનાવી આપો ઝાલમૂડી.