પિતા છે કે નહી, તેના કોઈ પુરાવા નથીઃ  ઇમરાન ખાનના પુત્રનો ગંભીર આરોપ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની તબિયત અંગે સોશિયલ મિડિયા પર ફેલાતી અટકળો વચ્ચે સરકાર અને પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ (PTI)ના વરિષ્ઠ નેતાઓનાં નિવેદનો એકબીજાની વિરોધાભાસી રીતે સામે આવ્યાં છે. વડા પ્રધાનના રાજકીય બાબતોના સલાહકાર રાણા સનાઉલ્લાહે સ્પષ્ટ કહ્યું છે કે ઇમરાન ખાન સંપૂર્ણ રીતે ઠીક છે. તેમની તબિયત અથવા સુરક્ષા અંગે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેમના જણાવ્યા મુજબ જેલ પરિષદ નિયમિત રીતે તેમની તબિયત, દવાઓ, ભોજન અને અન્ય સુવિધાઓનું ધ્યાન રાખી રહી છે.

બીજી તરફ ઇમરાન ખાનના પુત્ર કાસિમ ખાને અત્યંત ચિંતાજનક નિવેદન આપતાં જણાવ્યું છે કે ગયા છ અઠવાડિયાથી તેમને તેમના પિતા જીવિત છે કે સુરક્ષિત – તેની કોઈ પણ પુરાવા મળ્યા નથી. કાસિમનો આરોપ છે કે સરકાર તેમના પિતાની હાલત છુપાવવા માટે સંપૂર્ણ બ્લેકઆઉટ અમલમાં મૂકી રહી છે.

કાસિમના જણાવ્યા અનુસાર ઇમરાન ખાનને 845 દિવસથી કેદમાં રાખવામાં આવ્યા છે અને છેલ્લા અનેક અઠવાડિયાથી તેમને અડિયાલા જેલના ડેથ સેલમાં એકાંતવાસમાં રાખવામાં આવ્યા છે, જ્યાં ન તો કુટુંબીજનોને મળવાની પરવાનગી છે, ન ફોન કોલ, અને ન કાનૂની સલાહકારોને મળવા દેવામાં આવે છે. તેમનો દાવો છે કે ઇમરાન ખાનની બહેનોને પણ- સ્પષ્ટ કોર્ટના આદેશ હોવા છતાં સતત મળતા રોકવામાં આવી રહી છે.

કાસિમે X પર લખ્યું હતું કે છ અઠવાડિયાથી ન તો કોઈ ફોન કોલ, ન કોઈ મુલાકાત, ન કોઈ સંદેશ – અમને કંઈ પણ મળ્યું નથી. મને અને મારા ભાઈને પિતાજી સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક કરવાની મંજૂરી આપવામાં આવી નથી. સરકારે પ્રૂફ ઓફ લાઈફ પૂરું પાડવાનું પણ ટાળ્યું છે.

કાસિમે આ પરિસ્થિતિને સિક્યોરિટી પ્રોટોકોલ નહીં, પરંતુ એક જાણીબૂજીને અપનાવવામાં આવેલી છુપાવાની નીતિ ગણાવી છે.તેમનો આરોપ છે કે આ બધું એ માટે કરવામાં આવી રહ્યું છે જેથી પરિવારને એ જાણ ન થઈ શકે કે ઇમરાન ખાન કઈ હાલતમાં છે અથવા તેઓ સુરક્ષિત છે કે નહીં.