બેંગલુરુઃ કર્ણાટકમાં મુખ્ય મંત્રીની ખુરશી અંગે નિવેદનો અને રાજકીય ચર્ચા ફરી તેજ બની છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇકબાલ હુસૈને જણાવ્યું હતું કે પાર્ટીના ઓછામાં ઓછા 80 ધારાસભ્યોએ ઉપ મુખ્ય મંત્રી ડી.કે. શિવકુમારને મુખ્ય મંત્રી બનાવવાની ભલામણ હાઈ કમાન્ડ સમક્ષ કરી છે. આ દરમિયાન કર્ણાટકના ડેપ્યુટી CM ડી.કે. શિવકુમાર બે દિવસની નવી દિલ્હી મુલાકાત માટે રવાના થયા છે, જ્યાં તેઓ પાર્ટીના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરશે.
ડી.કે. શિવકુમાર ખુલ્લેઆમ કંઈ બોલતા નથી
તેમની આ મુલાકાત પછી રાજ્યમાં CMપદમાં ફેરફારની અટકળોને વધુ વેગ મળ્યો છે. જોકે ડી.કે. શિવકુમાર આ પ્રવાસ વિશે ખુલ્લેઆમ કંઈ બોલતા નથી. નવી દિલ્હી જવા પહેલાં તેમણે માત્ર એટલું જ કહ્યું કે તેઓ ડેપ્યુટી CM હોવા ઉપરાંત રાજ્ય કોંગ્રેસપ્રમુખ પણ છે અને એ હિસાબે હાઈ કમાન્ડ સાથે મુલાકાત થતી જ રહે છે.
ડી.કે. શિવકુમારને તક આપવી જોઈએ — હુસૈન
ડી.કે. શિવકુમારને CM બનાવવાના પ્રશ્ન પર કોંગ્રેસ ધારાસભ્ય હુસૈને કહ્યું હતું કે અમે આ મુદ્દો હાઈ કમાન્ડ પર છોડ્યો છે. 80–90 ધારાસભ્યોએ ડી.કે. શિવકુમારને મુખ્ય મંત્રી બનાવવાની વિનંતી કરી છે. અમે એક શિસ્તબદ્ધ પાર્ટી છીએ અને શાલિનતા જાળવવી જોઈએ.
રાજકારણમાં શિસ્ત જરૂરી
તેમણે આગળ કહ્યું હતું કે અમને પસંદ નથી કે યતીન્દ્ર સિદ્ધારમૈયા વારંવાર પોતાના પિતાના સમર્થનમાં બોલીને હાઈ કમાન્ડને અસ્વસ્થ બનાવે છે. દરેક પિતા પોતાના દીકરાને પ્રેમ કરે છે અને દીકરો પિતાને, પરંતુ રાજકારણમાં શિસ્ત જરૂરી છે. આવાં નિવેદનોથી બીજાને ઉશ્કેરવા ન જોઈએ.
આ કાર્યકાળમાં જ તક આપવી જોઈએ
ઇકબાલ હુસૈને કહ્યું હતું કે અમારી સૌની ઈચ્છા છે કે ડી.કે. શિવકુમારને તક મળે. બધા એવું જ ઇચ્છે છે, પરંતુ નિવેદનબાજીથી ગેરસમજ ન ફેલાય તેથી બધા શાંત છે અને અંદરખાને ચર્ચા ચાલી રહી છે. હું ખુલ્લેઆમ કહું છું કે આ કાર્યકાળમાં જ તેમને CM બનાવવામાં આવે.
CM પદને લઈને ખેંચતાણ નવેમ્બર, 2025થી
કર્ણાટક કોંગ્રેસમાં નેતૃત્વ અંગે ખેંચતાણ નવેમ્બર, 2025થી શરૂ થઈ હતી, જ્યારે સરકારે પોતાના પાંચ વર્ષના કાર્યકાળનો અડધો સમય પૂર્ણ કર્યો. મુખ્ય મંત્રી સિદ્ધારમૈયા, ઉપ મુખ્ય મંત્રી ડી.કે. શિવકુમાર અને ગૃહમંત્રી જી. પરમેશ્વર — ત્રણેય ટોચના પદ માટે દાવેદાર માનવામાં આવે છે.




