આ લોકશાહીની જીત છે, CJP અને યુવા પેઢીને શુભેચ્છાઃ સોનમ વાંગચુક

નવી દિલ્હીઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે બપોરે CJPની માગને ધ્યાનમાં રાખીને રાજીનામું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી આપ્યું છે. ત્યાર બાદ સોનમ વાંગચુકે નિવેદન જાહેર કરીને CJP અને GenZ (યુવા પેઢી)ને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામા સાથે લોકશાહીની જીત થઈ છે.

ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પત્રમાં જણાવ્યું કે તેઓ છેલ્લા ચાર દાયકાથી વધુ સમયથી વિદ્યાર્થી, શિક્ષક અને શિક્ષણ સુધાર માટે સમર્પિત રહ્યા છે. દેશના યુવાનોની આશાઓ, લાગણીઓ અને અપેક્ષાઓનો તેઓ સન્માન કરે છે અને ભારતની યુવા પેઢીના સપનાઓ સાકાર કરવું સૌનું નૈતિક કર્તવ્ય છે. તેમણે વધુમાં કહ્યું કે ત્રીજી મે, 2026એ યોજાયેલી NEET UG પરીક્ષામાં ગેરરીતિઓ સામે આવી હતી, જેને સરકારે ગંભીરતાથી લીધી અને તપાસ CBIને સોંપી હતી.

આ લોકશાહીની જીત છે – સોનમ વાંગચુક

સોનમ વાંગચુકે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે આ લોકશાહીની જીત છે. આ સીધી લોકશાહી છે, જે રસ્તાઓ પરથી ઊભી થઈ છે. આ શાંતિ, ધીરજ અને અડગ સંકલ્પની જીત છે. CJP અને દેશના GenZને અભિનંદન તેમ જ દેશના દરેક ખૂણેથી નિર્ભય બની અવાજ ઉઠાવનારા તમામ નાગરિકોનો આભાર. હવે જવાબદારી નક્કી થયા પછી સુધારાની દિશામાં આગળ વધવાનો સમય છે.

અમે કોઈનું પણ રાજીનામું અપાવી શકીએ છીએ – અભિજિત દીપકે

આ પહેલા CJPના સ્થાપક અભિજિત દીપકેએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. આ રાજીનામું એ વાતનો પુરાવો છે કે જો તમે ડરતા નથી અને સરકાર સામે ઝૂકતા નથી, તો અમે કોઈનું પણ રાજીનામું અપાવી શકીએ છીએ.