ટ્રંપ-પુતિનની બેઠક નિષ્ફળઃ રશિયા-યુક્રેન યુદ્ધવિરામ નહીં

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં મહત્વની બેઠક થઈ હતી, જે લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી, પરંતુ આ બેઠકમાં પણ બંને નેતાઓ વચ્ચે થયેલી ચર્ચામાં યુદ્ધવિરામ અંગે કોઈ ઉકેલ આવી શક્યો નથી.

ટ્રંપ અને પુતિનની મુલાકાતનું કોઈ પોઝિટિવ પરિણામ ન મળવાને કારણે ભારત સામે મુશ્કેલીઓ વધી છે અને તેને કારણે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને ચાલી રહેલી ચર્ચાઓ પર પણ કાળાં વાદળો છવાયાં છે.વિશ્વની નજર આ બેઠક પર હતી. આ બેઠક પછી પણ યુદ્ધવિરામ અંગે કોઈ સમજૂતી ન થઈ. નિષ્ણાતોનું માનવું છે કે આ બેઠક નિષ્ફળ રહી હતી. બંને નેતાઓનાં નિવેદનો તેમની વ્યૂહરચનાનો ભાગ હતાં. પુતિન શરૂઆતથી જ હાવી રહ્યા હતા અને સંકેત આપ્યો કે ચર્ચા તેમની શરતો મુજબ ચાલી રહી છે.

ટ્રંપે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમારી બેઠક અત્યંત ઉપયોગી રહી અને ઘણા મુદ્દાઓ પર અમારી વચ્ચે સહમતી બની છે, આગળ પણ વાત ચાલુ રહેશે.

આ બેઠક પછી પુતિને કહ્યું હતું કે અમારી ચર્ચા રચનાત્મક અને પરસ્પર માન-સન્માનના વાતાવરણમાં થઈ હતી. ટ્રંપે કહ્યું હતું કે તેમને રશિયન તેલ ખરીદતા ચીન જેવા દેશો પર તાત્કાલિક ટેરિફ લગાવવાની જરૂર નથી, પરંતુ બે-ત્રણ સપ્તાહમાં એવું કરવું પડી શકે છે. એ સાથે તેમણે ધમકી આપી હતી કે જો યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા કોઈ પગલું નહીં ભરાય, તો તેઓ રશિયા પર પ્રતિબંધો મૂકશે અને તે દેશો પર પણ વધારાના પ્રતિબંધો લાગુ કરશે, જે રશિયાથી તેલ ખરીદે છે. ટ્રંપે ભારત પર પહેલેથી જ રશિયન તેલ ખરીદવા બદલ 25 ટકાનો ટેરિફ લગાવ્યો છે.