વડોદરા: રવિવારે જિલ્લામાં ડૂબવાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી હતી. વાઘોડિયાના આલમગઢ તળાવમાં નહાવા પડેલા ચાર મિત્રોમાંથી બે યુવકો લાપતા થયા. જ્યારે શિનોર પાસે નર્મદા નદીમાં એક પરિક્રમા માટે આવેલો યુવક ડુબ્યો હોવાની ઘટના બની. ફાયર બ્રિગેડ દ્વારા ત્રણેયની શોધખોળ તેજ કરવામાં આવી. તળાવમાં કાદવ હોવાથી મૃતદેહો અંદર ફસાઈ ગયા હોવાની શક્યતા છે. જેને કારણે શોધખોળમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.
વાઘોડિયા તાલુકાના આલમગઢ ગામે 22મી માર્ચેં ચાર યુવકો તળાવમાં નહાવા માટે પડ્યા હતા. આ દરમિયાન અચાનક ચારેય યુવકો ડૂબવા લાગ્યા હતા. જોકે, બે યુવકોને તરતા આવડતું હોવાથી તેઓ જીવ બચાવીને બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, જ્યારે બે યુવકો ડૂબ્યા હતા. સાંજ સુધી બંનેની કોઈ ભાળ ન મળતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી. ફાયર ટીમ દ્વારા બોટ અને ડાઈવર્સની મદદથી તળાવમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
બીજી ઘટના શિનોર તાલુકામાં બની. જ્યાં નર્મદા પરિક્રમા માટે આવેલો એક યુવક નદીમાં ડૂબ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, યુવક નર્મદા મૈયાના દર્શન કરવા અને સ્નાન કરવા ગયો હતો. આ દરમિયાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ગઈકાલથી ફાયર બ્રિગેડની ટીમ શોધખોળ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. આજે ફરીથી વહેલી સવારથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બંને સ્થળોએ વડોદરા ફાયર બ્રિગેડની ટીમો કાર્યરત છે. જ્યારે ગ્રામ્ય પોલીસ પણ આ બંને મામલે તપાસ કરી રહી છે.




