અમિત શાહે પરિવાર સાથે નારણપુરામાં કર્યું મતદાન

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. રાજ્યના મહાનગરોથી લઈને અંતરિયાળ ગામડાઓ સુધી મતદારોમાં અનેરો ઉમંગ વર્તાઈ રહ્યો છે. આ લોકશાહીના પર્વમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરા વોર્ડમાં પોતાના પરિવાર સાથે પહોંચીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અમિત શાહની સાથે તેમના પત્ની સોનલબેન શાહ અને પુત્ર તેમજ આઈસીસી (ICC) ચેરમેન જય શાહે પણ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. દિગ્ગજ નેતાઓની હાજરીને પગલે નારણપુરા વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વહેલી સવારે અમદાવાદના શીલજ વિસ્તારની પ્રાથમિક શાળામાં જઈને સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઊભા રહીને મતદાન કર્યું હતું. મુખ્યમંત્રીએ આ તકે જણાવ્યું હતું કે, લોકશાહીમાં દરેક મત કિંમતી છે અને વિકાસની પ્રક્રિયાને વેગ આપવા માટે દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ. તેમની સાદગી જોઈને ત્યાં હાજર અન્ય મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બીજી તરફ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના પીપલોદમાં પરિવાર સાથે મતદાન કરી ‘વિકાસ માટે વોટ’ કરવાની અપીલ કરી હતી.

નોંધનીય છે કે આજે રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે હજારો બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આકરી ગરમી હોવા છતાં મતદાન મથકો પર સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે. કેટલીક બેઠકો પર રસાકસીભર્યા જંગની વચ્ચે અનેક બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. આજના આ મતદાનમાં હજારો ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ઈવીએમમાં કેદ થશે, જેનો ફેંસલો આગામી મંગળવારે પરિણામના દિવસે જાહેર થશે.