નવી દિલ્હીઃ બજેટ સત્રના ચોથા દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાની વાત શરૂ કરી હતી. પરંતુ તેમણે બોલવાનું શરૂ કરતાં જ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને સત્તાપક્ષના સાંસદોએ વિરોધ નોંધાવ્યો હતો.
રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં એક મેગેઝિનમાં છપાયેલા લેખનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં ડોકલામ, ચીની ટેન્કો અને કૈલાશ રિજિયન વિશે વાત હતી. તેમણે જણાવ્યું હતું કે આ લેખમાં ભૂતપૂર્વ સેનાપ્રમુખ જનરલ એમ.એમ. નરવણેના સ્મૃતિગ્રંથ (સંસ્મરણો)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.રાહુલ ગાંધી દ્વારા એટલું કહેતાં જ લોકસભામાં ભારે હંગામો શરૂ થયો. સત્તા પક્ષના સાંસદોએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી નિયમોનું પાલન કરી રહ્યા નથી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે રાહુલ ગાંધી એ સ્પષ્ટ કરે કે તેઓ જે પુસ્તકનો ઉલ્લેખ કરી રહ્યા છે તે પ્રકાશિત થયું છે કે નહીં.
સત્તા પક્ષના વારંવારના હંગામા અને રાજનાથ સિંહ જેવા વરિષ્ઠ નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવેલા વિરોધ પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આમાં એવું શું છે કે જે તેમને એટલું ડરાવી રહ્યું છે? જો તેઓ ડરેલા નથી તો મને આ વાંચવાની મંજૂરી આપવી જોઈએ. રાહુલ ગાંધીના ભાષણ પર માત્ર રાજનાથ સિંહ જ નહીં, પરંતુ કિરણ રિજિજુ અને ગૃહમંત્રી અમિત શાહે પણ વાંધો ઉઠાવ્યો હતો. કિરણ રિજિજુએ કહ્યું કે સ્પીકરે નિર્ણય આપ્યો છે કે મેગેઝિન અથવા અખબારોના લેખોને ગૃહમાં ક્વોટ કરી શકાય નહીં. ગૃહમાં ચર્ચા નિયમો અને કાયદા અનુસાર થવી જોઈએ.
અમિત શાહે કહ્યું કે મેગેઝિન કંઈ પણ છાપી શકે છે. રાહુલ ગાંધી એ સ્પષ્ટ કરે છે કે આ વાતો ખરેખર એમ.એમ. નરવણેએ લખી છે કે નહીં.

સંપૂર્ણ વિવાદ કેમ થયો?
લોકસભામાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા પ્રકાશિત મેગેઝિનનાં ક્વોટ રજૂ કરવા પર વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે આ ગૃહના નિયમોના વિરુદ્ધ છે. રાહુલ ગાંધીનો દાવો હતો કે તેમનો સ્ત્રોત વિશ્વસનીય છે અને તેમાં પૂર્વ સેના પ્રમુખ એમ.એમ. નરવણેનાં અપ્રકાશિત સ્મૃતિગ્રંથોનાં ક્વોટ સામેલ છે. રાહુલ ગાંધીએ એમ.એમ. નરવણેની રિપોર્ટનો ઉલ્લેખ કરીને કહ્યું કે ચીની સેના ભારતીય સીમા નજીક આવી હતી, ચીનની સેના ભારતીય વિસ્તારમાં ઘૂસી હતી. તેમણે કહ્યું હતું કે ચીનના ચાર ટેન્કો ભારતીય સીમામાં પ્રવેશી રહ્યા હતા અને ચીની ટેન્કો કૈલાશ રિજિયન પર ચઢી રહી હતી.


