US એમ્બેસેડર સર્ગિયો ગોરે રાષ્ટ્રપતિ મુર્મુને ઓળખપત્રો સોંપ્યાં

નવી દિલ્હીઃ અમેરિકાના રાજદૂત સર્ગિયો ગોરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો પરિચય પત્ર એટલે કે ક્રેડેન્શિયલ્સ સોંપ્યા હતા. 38 વર્ષીય ગોરે ગયા વર્ષના નવેમ્બરના મધ્યમાં ભારત માટે અમેરિકાના રાજદૂત તરીકે શપથ લીધા હતા. અમેરિકી સેનેટે ગયા વર્ષના ઓક્ટોબરમાં તેમની નિમણૂકને મંજૂરી આપી હતી. તેઓ અગાઉ વ્હાઇટ હાઉસ (અમેરિકાના રાષ્ટ્રપતિનું અધિકૃત નિવાસસ્થાન અને કાર્યાલય)માં પર્સનલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓગસ્ટ, 2025માં તેમની ભારત માટે આગામી અમેરિકી રાજદૂત તરીકે નિમણૂક કરી હતી.

રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારંભમાં મુર્મુએ ગોર પાસેથી તેમનું પરિચય પત્ર સ્વીકાર્યું હતું. ગોરે સોમવારે તણાવપૂર્ણ સંબંધોને ફરી સુધારવાના ઇરાદાની ઝાંખી આપતાં કહ્યું હતું કે અમેરિકા માટે ભારત જેટલું મહત્વપૂર્ણ બીજો કોઈ દેશ નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બંને દેશો વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે સક્રિય રીતે પ્રયત્નશીલ છે.

ભારત-અમેરિકા સંબંધોમાં તણાવ ત્યારે શરૂ થયો જ્યારે ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો હતો. તેમાં ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર 25 ટકાનો વધારાનો ટેરિફ પણ સામેલ હતો. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ગોર સિવાય ત્રિનિદાદ અને ટોબેગો ગણરાજ્યના ઉચ્ચાયુક્ત ચંદ્રદાથ સિંહ અને ઓસ્ટ્રિયા ગણરાજ્યના રાજદૂત રોબર્ટ જિશ્ચગે પણ મુર્મુને પોતાનું પરિચય પત્ર રજૂ કર્યું હતું.

દિલ્હીમાં અમેરિકાના નવા રાજદૂત સર્ગિયો ગોરે તણાવ દૂર કરીને દ્વિપક્ષી સંબંધોને ફરી મજબૂત કરવાનો સંકેત આપતાં સોમવારે કહ્યું હતું કે વોશિંગ્ટન માટે ભારત જેટલું જરૂરી બીજો કોઈ દેશ નથી. તેમણે જણાવ્યું હતું કે બંને પક્ષો વેપાર કરારને અંતિમ રૂપ આપવા માટે કામ કરી રહ્યા છે.

તેમના આગમન સંબોધનમાં ગોરે મહત્વપૂર્ણ ખનિજો અને AI  ક્ષેત્રે અમેરિકાના નેતૃત્વ હેઠળના વ્યૂહાત્મક ગઠબંધન ‘પેક્સ સિલિકા’માં ભારતને જોડાવા માટે આમંત્રણ આપવાની પણ જાહેરાત કરી હતી. ગોરે કહ્યું  હતું કે અમેરિકા અને ભારત માત્ર સહભાગી હિતોથી જ જોડાયેલા નથી, પરંતુ આ સંબંધ સર્વોચ્ચ સ્તરે આધારિત છે.

તેમણે આશા વ્યક્ત કરી હતી કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષે અથવા તેના પછીના વર્ષે ભારતની મુલાકાત લેશે. પદભાર સંભાળ્યા પછી માત્ર થોડા કલાકોમાં ગોર દ્વારા આપવામાં આવેલાં આ નિવેદનોને ટ્રમ્પ પ્રશાસનની તરફથી એક સકારાત્મક પહેલ તરીકે જોવામાં આવી રહ્યા છે, એવા સમયે જ્યારે તાજેતરના મહિનાઓમાં ટેરિફ અને H-1B વિઝાને લઈને ભારત પર દબાણ વધારવામાં આવ્યું છે.