મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે હવે શાંતિના સંકેતો મળી રહ્યા છે. અમેરિકા દ્વારા મોકલવામાં આવેલા ૧૪ મુદ્દાઓના શાંતિ પ્રસ્તાવ પર ઈરાને આખરે પોતાનો પ્રતિસાદ આપી દીધો છે. ખાસ વાત એ છે કે, ઈરાને આ જવાબ પાકિસ્તાન મારફતે અમેરિકા સુધી પહોંચાડ્યો છે. આ અહેવાલ બાદ વિશ્વભરમાં આશા જાગી છે કે લાંબા સમયથી ચાલી રહેલું આ યુદ્ધ કદાચ વિરામ તરફ આગળ વધી શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવ પર ઈરાનનું વલણ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે આશા વ્યક્ત કરી હતી કે ઈરાન ટૂંક સમયમાં અમેરિકાના શાંતિ પ્રસ્તાવ પર પ્રતિક્રિયા આપશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ પ્રસ્તાવનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના તણાવને ઘટાડવો અને યુદ્ધ જેવી સ્થિતિનો અંત લાવવાનો છે. ૧૪ મુદ્દાઓના આ એક પાનાના પ્રસ્તાવમાં ઈરાનની અણુ ગતિવિધિઓ પર અંકુશ અને તેના બદલામાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોમાં છૂટછાટ તેમજ ઈરાનની ફ્રીઝ કરાયેલી અબજો ડોલરની સંપત્તિ મુક્ત કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
ઈરાનના જવાબની સાથે જ ત્યાંના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર સ્પષ્ટ કર્યું છે કે, તેઓ દુશ્મન સામે ક્યારેય માથું ઝુકાવશે નહીં. તેમણે જણાવ્યું કે જો વાતચીતનો માર્ગ અપનાવવામાં આવે છે, તો તેનો અર્થ આત્મસમર્પણ નથી, પરંતુ ઈરાનના અધિકારો અને રાષ્ટ્રીય હિતોની મજબૂતી સાથે રક્ષા કરવાનો છે.



