નવી દિલ્હીઃ આવનારા સમયમાં ટોલ પ્લાઝા પર વાહનોને રોકવાની જરૂર નહીં પડે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે ભારત હવે એવી વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે, જેમાં વાહનોને ટોલ પ્લાઝા પર રોકવાની જરૂર જ નહીં પડે. આ માટે મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) સિસ્ટમ ફેબ્રુઆરી સુધીમાં શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે.
ટોલ પ્લાઝા પર MLFF સિસ્ટમ ટૂંક સમયમાં
ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં સંબોધન દરમિયાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ફાસ્ટેગ આવ્યા બાદ ટોલ પ્લાઝા પર વાહનોના રાહ જોવાના સમયમાં ઘણો ઘટાડો થયો છે. અગાઉ કેટલીક જગ્યાએ વાહનચાલકોને લગભગ 12 મિનિટ સુધી રાહ જોવી પડતી હતી. કેટલાક કિસ્સાઓમાં આ સમય 30 મિનિટ સુધી પણ પહોંચી જતો હતો. જોકે ફાસ્ટેગના ઉપયોગથી ટોલ પ્લાઝા પર રાહ જોવાનો સમય લગભગ 80થી 90 ટકા સુધી ઘટ્યો છે. હવે સરકારનું ધ્યાન બાકી રહેલા રાહ જોવાના સમયને પણ સંપૂર્ણપણે દૂર કરવા પર છે, જેથી હાઈવે પર વાહનો સતત દોડતા રહે અને ટોલ ભરવા માટે તેમને બ્રેક ન લગાવવી પડે. આ માટે સરકાર MLFF સિસ્ટમ પર કામ કરી રહી છે.
શું છે MLFF સિસ્ટમ?
MLFF એટલે કે મલ્ટી-લેન ફ્રી ફ્લો વ્યવસ્થામાં ટોલ પ્લાઝા પર વાહનોને રોકવા માટે ભૌતિક બેરિયર લગાવવાની જરૂર નહીં રહે. વાહનો રોકાયા વિના ટોલ પોઈન્ટ પરથી પસાર થઈ શકશે અને ટોલની ચુકવણી ડિજિટલ રીતે કરવામાં આવશે. ગડકરીના જણાવ્યાનુસાર આ સિસ્ટમ ફેબ્રુઆરી સુધીમાં શરૂ થવાની આશા છે. તેનાથી ટોલ પ્લાઝાના સંચાલન અને જાળવણી પાછળ થતો ખર્ચ પણ ઘટી શકે છે. સાથે જ હાઈવે પર ટ્રાફિકનો પ્રવાહ વધુ સારો થવાની આશા છે. ઝડપી ટોલ ચુકવણીની અસર માત્ર વાહનચાલકોના સમય સુધી મર્યાદિત નથી. નીતિન ગડકરીએ જણાવ્યું કે ફાસ્ટેગને કારણે દર વર્ષે લગભગ 71 કરોડ કલાકની બચત થઈ રહી છે. તેનાથી અર્થતંત્રને આશરે રૂ. 68,500 કરોડનો લાભ થવાનો અંદાજ છે.
ટોલ પ્લાઝા પર વાહનો ઓછા સમય માટે રોકાતા હોવાથી ઈંધણનો વપરાશ અને પ્રદૂષણમાં પણ ઘટાડો થાય છે. ગડકરીએ તેના પર્યાવરણીય ફાયદાની તુલના આશરે 2.7 કરોડ વૃક્ષો વાવવાથી થતા લાભ સાથે કરી છે. સરકાર હાઈવે પર ટોલની ચુકવણીને વધુમાં વધુ ડિજિટલ બનાવવા માગે છે. ગડકરીએ કહ્યું કે તમામ બેંકોની ફાસ્ટેગ સિસ્ટમમાં ભાગીદારી હોવી જોઈએ અને ટોલ વસૂલાતની પ્રક્રિયા વધુ પારદર્શક હોવી જોઈએ.




