ગાંધીનગર: ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’-૨૦૨૫ ઉદયપુર ખાતે યોજાયો હતો. ગુજરાત અને રાજસ્થાન વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાનના ઉદ્દેશ્ય સાથે રવિવારે ઉદયપુરના ફીલ્ડ ક્લબ સંકુલમાં આ અનોખો કાર્યક્રમ યોજાયો હતો. વાઇબ્રન્ટ ગુજરાત કલ્ચરલ પ્રોગ્રામમાં ઉદયપુરવાસીઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.ગુજરાત પ્રવાસન નિગમના ઉપક્રમે આ પ્રકારના પ્રથમ-અનોખો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેનો શુભારંભ પંજાબના રાજ્યપાલ તથા ચંદીગઢના વહીવટદાર ગુલાબચંદ કટારિયાના હસ્તે કરવામાં આવ્યો હતો. કાર્યકર્મમાં ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ગુલાબચંદ કટારિયાએ કહ્યું, ઉદયપુર જેવા ઐતિહાસિક અને સાંસ્કૃતિક શહેરમાં વાઇબ્રન્ટ ગુજરાત કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન આપણા સૌ માટે ગર્વની બાબત છે. ઉદયપુરને તળાવોની નગરી કહેવામાં આવે છે અને ગુજરાતને જીવંત સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસા માટે ઓળખવામાં આવે છે. બંનેનો સંગમ અદભૂત સંયોગ છે. આ પ્રકારના કાર્યક્રમો આપણા ભારતીય સાંસ્કૃતિક વારસાને વધુ મજબૂત કરશે. સાથે-સાથે ભારતને પ્રવાસનના ક્ષેત્રમાં વૈશ્વિક નકશા પર વધુ મજબૂતાઈથી સ્થાપિત કરશે.”
મુળુભાઈએ જણાવ્યુ કે, રાજસ્થાન અને ગુજરાતનો સંબંધ બહુ જૂનો અને મજબૂત છે. ખાણી-પીણી, રહેણી-કરણી તેમજ પરંપરાઓમાં તેની ઝલક જોવા મળે છે. આ આયોજન બંને રાજ્યો વચ્ચેના અતૂટ સંબંધને વધુ મજબૂત બનાવશે.
આ ગરબામાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ પરંપરાગત વસ્ત્રોમાં ભાગ લીધો હતો. કોઈએ ગુજરાતના લોકજીવનને દર્શાવતી ચણિયાચોળી અને કેડિયુ તથા ચોરણા ધારણ કર્યા હતા. તો કેટલાંક ખેલૈયાઓએ રાજપૂતાના ગૌરવનું પ્રતિનિધિત્વ કરતા ધોતી-કુર્તા અને મેવાડી પાગ અથવા મારવાડી સાફા સાથે અલગ જ છટા પાથરી હતી. ગુજરાતના પરંપરાગત લોકગીતો અને લોકનૃત્યની ધૂન પર થનગનતા પગ એક ભારત, શ્રેષ્ઠ ભારતનું દિગ્દર્શન કરતા હોય, તેવો માહોલ સર્જાયો હતો.
કાર્યક્રમના પ્રારંભમાં આકર્ષક પરંપરાગત ગુજરાતી લોક પ્રદર્શન યોજાયું. તેમાં તલવાર રાસ, ગોફ ગૂંથણ અને મણિયારો રાસની રજૂઆતોએ મંત્રમુગ્ધ કરી દીધા. ત્યાર બાદ રાજસ્થાનના આત્મા સમુ ઘૂમર નૃત્ય શરૂ થયું. તેમાં જાણે કે આખું સંકુલ જ સાંસ્કૃતિક સમાગમનું પ્રતિબિંબ બની ગયું. મનમોહક રજૂઆત પછી, જાણીતા પાર્શ્વગાયક પાર્થિવ ગોહિલે ગુજરાતના પરંપરાગત લોકગીતોની રજૂઆતો કરી હતી.
આયોજન દરમિયાન ગુજરાતી ગરબાની સાથે પરંપરાગત ગુજરાતી વ્યંજનોના પણ સ્ટોલ્સ સજાવવામાં આવ્યા હતા. તેમાં ખેલૈયાઓએ ગુજરાતના સ્વાદિષ્ટ પરંપરાગત વ્યંજનો ખમણ-ઢોકળા, ફાફડા સહિત અનેક પ્રકારની વાનગીઓની લિજ્જત માણવાની તક પણ મળી હતી.
